મેઘવિરામને ચાર દિવસ થવા છતાં સોસાયટીના દરેક મકાનોમાં વરસાદ સાથે ભૂગર્ભના ગંદા પાણી ભરાયા હોવા છતાં તંત્ર નીમ્ભરતાની હદ વટોળી દેતા રહીશોની ધીરજ ખૂટી આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી અનશન ઉપવાસ ચાલુ રાખવાનો નીર્ધાર : સોસાયટીમાં રાજકીય આગેવાનોના પ્રવેશની મનાઈ મોરબી : મોરબીમાં મેઘપ્રકોપને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. જો કે નવલખી રોડ કુબેરનગરની બાજુમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીની એટલી ગંભીર હાલત છે કે રહીશોને ઘરબાર છોડીને હિજરત કરવાની નોબત આવી છે. આ સોસાયટીના દરેક મકાન વરસાદની સાથે ભૂગર્ભના ગંદા પાણીમાં ગરકાવ છે અને આ ભયંકર પરિસ્થિતિ હોવા છતાં તંત્ર નિભરતાની હદ વટોળી દેતા અંતે સોસાયટીના રહીશોની ધીરજ ખૂટી હતી અને આજથી રહીશોએ તેમની સોસાયટીમાં મંડપ નાખીને ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. અને જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાનો દ્રઢ નીર્ધાર કર્યો છે. મોરબીના નવલખી રોડ કુબેરનગરની બાજુમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં ભારે વરસાદથી ઘરમાં રહી ન શકાય તેવી ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે. મેઘવીરામને ચારથી વધુ દિવસ વીતી ગયા છતાં મકાનોમાં ભરાયેલા પાણી ઓસરવાનું નામ લેતા નથી. બીજી બાજુ તંત્ર પણ શરમજનક હદે બેદરકારી દાખવતું હોવાથી આ સોસાયટીના રહીશોએ આજથી તેમની સોસાયટીમાં મંડપ નાખીને અન્ન જળનો ત્યાગ કરી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. મકાનોમાં એટલી હદે પાણી ભરાયેલા છે કે આ સોસાયટી રહીશોમાં તંત્રની સાથે રાજકીય નેતાઓ સામે પણ ભારોભાર આક્રોશ ઠાલવ્યો છે અને તેમની સોસાયટીમાં રાજકીય નેતાઓને પ્રવેશની મનાઈ ફરમાવતા બેનેરો લગાવ્યા છે. સાથે સાથે જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. સોસાયટીના રહીશોએ તંત્ર સમક્ષ બળાપો ઠાલવ્યો હતો કે છેલ્લા દશ વર્ષોથી તેમની સોસાયટીમાં દર ચોમાસે આવી કપરી હાલત થઈ જાય છે. ખાસ કરીને તેમની સોસાયટીમાંથી વરસાદી પાણીનો જ્યાં નિકાલ થતો હતો, તેને અમુક લોકોએ બંધ કરી દીધો છે. પરિણામે દર ચોમાસે સોસાયટી અને ઘરોમાં પાણી ઘુસી જાય છે અને આજુબાજુ સોસાયટીઓનું પણ પાણી આ સોસાયટીમાં ઘુસી જાય છે. આ વખતે તો ભારે વરસાદમાં હદ થઈ ગઈ છે. જેમાં આખી સોસાયટી હજુ પાણીમાં ગરકાવ છે. છેલ્લા 15 દિવસથી આ પાણી ભરાવવાની સમસ્યા છે. બાજુમાં આવેલા વંડામાંથી પાણી ઘુસી જાય છે. અને સોસાયટીના દરેક મકાનોમાં પાણી ભરાયેલા છે. ફળિયા અને શોચાલય તથા બાથરૂમમાં એટલી હદે પાણી ભરાયેલા છે કે દિનચર્યા કરવામાં પણ લોકોને ભારે તકલીફ પડે છે. ઘરમાં રહેલા પાણીમાં લીલો શેવાળ જામી ગયો છે અને પાણી અતિશય દુર્ગંધ મારે છે. જો કે રહીશો રોજ ઘરમાંથી પાણી ઉલેચે છે. પણ ફરી પાછું પાણી ઘરમાં ભરાય જાય છે. ભૂગર્ભ ગટર ચોકઅપ હોવાથી પાણીનો નિકાલ થતો જ નથી. ઉલટાનું ભૂર્ગભનું પાણી ઘરમાં ઘુસી જાય છે. સ્થાનિકો લાંબા સમયથી રજુઆત કરતા આવ્યા છે.પણ દરેક વખતે માત્ર ઠાલા આશ્વાસન જ મળે છે. ગઈકાલે પણ સ્થાનિકોએ કલેકટર અને ચીફ ઓફિસરને રજુઆત કરી હતી. ત્યારે પણ પોકળ ખાત્રીઓ જ મળી હતી. આથી, સ્થાનિકોએ તંત્રને આંદોલન શરૂ કર્યું છે. સ્થાનિકો હવે લડી લેવાના મૂડમાં છે. ત્યારે દરેક સમસ્યામાં વર્ષોથી બેદરકારી દાખવતું તંત્ર આ ઉપવાસ આંદોલનથી બોધપાઠ લઈને નક્કર કાર્યવાહી કરશે ખરું તેવો સવાલ ઉઠ્યો છે.