ટ્રાફિક સમસ્યા નિવારવા ખુલ્લા નાલા બંધ કરવા સૂચન : જો પાલિકા કે સરકાર દ્વારા કામગીરી શક્ય ન હોય તો સીરામીક એસોસિએશન દ્વારા લોકફાળાથી સર્કલ બનવવા તૈયારી મોરબી : મોરબીમાં ટ્રાફિક સમસ્યા દિવસે - દિવસે વિકરાળરૂપ ધારણ કરી રહી છે ત્યારે મોરબીના પોશ અને ટ્રાફિક ગીચતા ધરાવતા રવાપર રોડની ટ્રાફિક સમસ્યા નિવારવા મોરબી સિરામિક એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ સૂચન કરી હયાત નાલા બંધ કરી સર્કલ બનાવવા તંત્રને અનુરોધ કર્યો છે સાથો - સાથ આ પ્રોજેકટ સરકારીતંત્ર ન કરી શકે તો સિરામિક એસોસિએશન લોકભાગીદારીથી આ કામગીરી કરવા તત્પરતા દાખવી છે. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે મોરબીનો પોશ વિસ્તાર એટલે રવાપર રોડ, મોટાભાગે બધા જ ઉધોગકારો આ રોડ ઉપર રહે છે અને આ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા વધતી જાય છે ત્યારે સૌથી વધુ સમસ્યા ભરત પાન અને પ્રકાશ પાન સામે નવા બસ સ્ટેન્ડ જવાનો રસ્તો જયા ખુલ્લી ગટરની છે ત્યાં છે. જો આ ખુલ્લી ગટરના બધા નાલા બંધ કરી અને રસ્તો કરી અને નાનું સર્કલ બનાવવામાં આવે તો, ટ્રાફીક અને ગંદકી ની સમસ્યા હલ થઈ શકે તેમ છે હોવાનું મહત્વપૂર્ણ સૂચન તેમને કર્યું હતું. વધુમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, ધારાસભ્ય, તેમજ સાસંદ દ્વારા આ બાબતે વિચારવું જોઇએ તેમ જણાવી નિલેશભાઈએ ઉમેર્યું હતું કે લોકસેવકો પોતાની ગ્રાન્ટને આ કાર્યમા વાપરવી જોઇયે અને જો કાયદાકીય રીતેના થઇ શકે તેમ હોય અને કોઇ આ બાબતે આગળ ના આવે તો સ્વૈચ્છિક લોકભાગીકારીથી પણ થઇ શકે તેમ છે જો આ સર્કલ બનાવવાની મંજુરી આપે તો સિરામીક ઉધોગકારો છેલ્લે લોકભાગીદારી કરીને પણ આ રસ્તો મોટો કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત સિરામીક ઉધોગકારો લોકભાગીદારી કરવાની સાથે તંત્ર આ સર્કલને જે તે દાતા ઉદ્યોગનું સર્કલ સાથે નામકરણ કરવા પણ સૂચન કરાયું હતું. અંતમાં સિરામિક એસોસિએશન પ્રમુખ દ્વારા પોતાના આ સુચનને વહીવટી તંત્ર સુધી પહોંચાડવા અપીલ કરી મોરબીની સુખાકારી માટે મોરબી સિરામીક એશોસીએશન લોકભાગીદારી કરી લોકસેવાના કાર્યો કરવા તત્પર હોવાનું જણાવ્યું હતું.