મોરબી: પર્યાવરણના જતન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ વૃક્ષો વાવી ધરતીને હરિયાળી બનાવવામાં આવે તેવા પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યારે મોરબીના રાજકીય અગ્રણીએ પોતાના ઘરે આવનારા પ્રસંગ માટે ઇકો ફ્રેન્ડલી આમંત્રણ પત્રિકા છપાવી છે. આ પત્રિકાના કાગળમાંથી તુલસીનો છોડ ઉગી નીકળશે. આ ઉમદા વિચાર આવ્યો છે મોરબી ભાજપના અગ્રણી જીગ્નેશભાઈ કૈલા અને મોરબી જિલ્લા પંચાયતના ઉપ-પ્રમુખ જાનકીબેન કૈલાને જીગ્નેશભાઈ અને જાનકીબેનની સુપુત્રી રાગી તેમજ જીગ્નેશભાઈના ભાઈ અમિતભાઈ અને રીટાબેન કૈલાના સુપુત્ર જૈનમના રાંદલ માતાજીની પધરામણીનો શુભ પ્રસંગ 28 ઓગસ્ટના રોજ યોજાનાર છે. ત્યારે કૈલા પરિવારે એક અનોખી પ્રેરણાદાયી પહેલના ભાગરૂપે ઇકો ફ્રેન્ડલી કંકોત્રી છપાવી છે. આ પત્રિકામાંથી તુલસીનો છોડ ઊગી નીકળશે. આમંત્રણ પત્રિકામાંથી છોડ ઉગી નીકળવાની સમગ્ર પ્રક્રિયા જોઈએ તો, સૌપ્રથમ આમંત્રણ પત્રિકાના કવરને કાપીને જ્યાં સુધી અંકુરિત ના થાય ત્યાં સુધી ત્રણ-ચાર દિવસ પાણીમાં પલાળી રાખવામાં આવશે. ત્યારબાદ અંકુરિત થયેલ પત્રિકાને અડધો ઇંચ માટીમાં લગાવી દેવામાં આવશે અને કુંડાઓને સૂર્યપ્રકાશની નીચે રાખી તેને નિયમિત પાણી આપવામાં આવશે તો તેમાંથી તુલસીનો છોડ ઊગી નીકળશે. આમ આ આમંત્રણ પત્રિકાના કાગળમાંથી તુલસીના છોડ ઉગશે. મહત્વનું છે કે, લોકો ઘરે આવતા વિવિધ પ્રસંગોમાં મોંઘીદાટ આમંત્રણ પત્રિકાઓ છપાવતા હોય છે અને આ આમંત્રણ પત્રિકાઓ લોકો વાંચીને પસ્તીમાં જવા દેતા હોય છે. ત્યારે કૈલા પરિવારે એક અનોખી પહેલ કરીને આ ઈકો ફ્રેન્ડલી આમંત્રણ પત્રિકા બનાવડાવી છે અને લોકોને વૃક્ષ વાવવાનો સંદેશો આપ્યો છે.