રાત્રીના ૩થી સવારે ૫ દરમિયાન પાણીનું વિતરણ થતું હોવાથી લોકો લાઈનના નળ ખુલ્લા રાખી ને જ સુઈ જાય છે મોરબી : મોરબીના મહેન્દ્રપરામાં પાલિકા દ્વારા કટાણે પાણી વિતરણ કરવામાં આવતું હોવાથી પાણીમો વેડફાટ થઈ રહ્યો હોવાની રાવ સાથે એક સામાજિક કાર્યકરે ચીફ ઓફિસરને રજુઆત કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હજુ પાણીનો વેડફાટ થવાનું યથાવત રહ્યું છે. મોરબીના વોર્ડ નં. ૫માં મહેન્દ્રનગરમાં રહેતા જીતુભાઇ ઠક્કરે ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે તેઓના વિસ્તારમાં પાલિકા દ્વારા રાત્રીના ૩ થી સવારના ૫ વાગ્યા દરમિયાન પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ કટાણે પાણી વિતરણ કરવામાં આવતું હોવાથી લોકો રાત્રે જ પાણીની લાઈનના નળ ખુલ્લા રાખીને સુઈ જતા હોઇ છે.પરિણામે પાણી ટાંકીમાં સંપૂર્ણ રીતે સંગ્રહ થયા બાદ વેડફાઈ જાઇ છે. આમ પાણીનો વ્યય થતો અટકાવવા માટે પાલિકાએ આયોજનબદ્ધ રીતે પાણીનું વિતરણ કરવું જરૂરી બને છે. જેથી આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.