મચ્છુ ડેમમાં ૬ દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો : વરસાદ હજુ ખેંચાશે તો જળસંકટ મોરબી : વરસાદ પાંછો ખેંચાતા મોરબીમાં પીવાના પાણીની સમસ્યા ઉદભવી છે. મચ્છુ ડેમમાં ૬ દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાના લીધે પાલિકા દ્વારા પાણી કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવેથી મોરબીમાં એકતરા જ પાણી વિતરણ કરવામાં આવશે. મોરબીમાં ગત વર્ષે સારો વરસાદ રહેતા મચ્છુ ડેમ છલોછલ ભરાઈ ગયો હતો. પરંતુ આ વખતે ચોમાસુ મોડું આવતા મચ્છુ ડેમનું તળિયું દેખાવા લાગ્યું છે. હાલ મચ્છુ ૨ ડેમમાં ૩૦ એમસીએફટી જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. આ પાણીનો જથ્થો માત્ર ૨ દિવસ જ ચાલે તેમ હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું છે. ઉપરાંત ડેમમાં ૧૩૪ એમસીએફટી પાણીનો જથ્થો ડેડસ્ટોક છે. સરકારે ડેડ સ્ટોક વાપરવાની મંજૂરી અપાતા કદાચ આ ડેડ સ્ટોક ઉપયોગ લેવાઈ તો આખો જુલાઈ માસ નીકળી જાય તેમ છે. હાલ ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી શહેરમાં પાણી કાપ લાદી દેવામાં આવ્યો છે. આ અંગે ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાએ જણાવ્યું હતું કે મચ્છુ ૨ ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી પાણી કાપ મૂકીને એકતરા પાણી વિતરણ શરૂ કરાયું છે. આ પાણીની સ્થિતિ અંગે કલેકટરને રિપોર્ટ કરાયો છે. વધુમાં તેઓએ કહ્યું કે જિલ્લા કલેક્ટર માકડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ નર્મદાના નિરથી મચ્છુ ડેમને ભરી દેવા સરકારને રજુઆત કરી છે. જો કે વરસાદ હજુ ખેંચાઈ તો સમગ્ર શહેરને જળસંકટનો સામનો કરવો પડી શકે તેમ છે.