તળાવ બનાવ્યા વગર નાની સિંચાઈ યોજનાના નામે થયો કરોડોનો કળદો મોરબી : મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અન્વયે તળાવો ઊંડા ઉતારવા, ખેત તલાવડા બનાવવા જેવા કામો કરવાને બદલે બારો બાર કરોડો રૂપિયા હજમ કરી લેવાતા આ મામલે આજે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કૌભાંડિયા તત્વો સામે ફોજદારી ફરિયાદ નોંધાવવા માંગણી કરી હતી. મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આજે કોંગી કાર્યકરોએ મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયિક તપાસ કરી કસુરવાન સામે ફોજદારી રાહે પગલાં ભરવા માંગ ઉઠાવી હતી. વધુમાં આવેદનપત્રમાં ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપના સાંસદ દ્વારા જે આક્ષેપ કરવામાં આવતા યુવા કોંગ્રેસની ટીમ દ્વારા આ કહેવાતા ભ્રષ્ટાચારના અનુસંધાનમાં ગામ થી લઈને જીલ્લા સુધીનાં કોંગ્રેસનાં આગેવાનો એ અગાઉ પણ આવેદનપત્ર આપેલ હોય છતા પણ અધિકારીઓ એ કોઈપણ પ્રકારનાં પગલા શા માટે નથી ભર્યા તેવો સવાલ ઉઠાવ્યો હતો. સાથે સાથે નાની સિંચાઈ યોજનાના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર માટે મુખ્ય જવાબદાર વ્યક્તિઓ કોણ ? છે તેના નામ જાહેર કરવા માંગ ઉઠાવી નાની સિંચાઈ યોજના હેઠળનાં કામો માં જીલ્લા પંચાયત નાં અધિકારીઓ, આ કામ કરનાર મંડળીઓ અને અન્ય સંડોવાયેલ વ્યક્તિઓ ઉપર તાત્કાલિક ધોરણે ફોજદારી ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી.