ખાટકી વાસ નજીક બુલડોઝર વડે ૧૫થી વધુ વાડાઓ અને ૭ જેટલી કેબીનો હટાવાઇ : આગામી દિવસોમાં માળીયા સંઘનું દબાણ હટાવાશે મોરબી : મોરબીના ખાટકીવાસ નજીક કરવામાં આવેલા દબાણો આજે પાલિકા તંત્રએ દૂર કર્યા હતા. પાલિકા તંત્રએ બે બુલડોઝર વડે ૧૫થી વધુ વાડાઓ અને ૭ જેટલી કેબીનોનું ડીમોલિશન હાથ ધરી ૩૦ ફૂટ જેટલો રસ્તો ખુલ્લો કર્યો હતો. પ્રાપ્ત થતી વિગત મુજબ આજે પાલિકા તંત્ર દ્વારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે ખાટકીવાસ નજીક સબવે જવાના રસ્તા તરફ ડીમોલિશન હાથ ધર્યું હતું. જો કે દબાણ કરનારાઓને અગાઉથી નોટિસ આપી દીધી હોવાથી તેઓના તરફથી પાલિકાને પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો. પાલિકા તંત્રએ ૨ બુલડોઝર અને ૩ ટ્રેક્ટર વડે ૧૫ થી વધુ વાડાઓ અને ૭ કેબીનો હટાવીને ૩૦ ફૂટ જેટલો રસ્તો ખુલ્લો કર્યો હતો. આ ઉપરાંત પાલિકામાંથી મળતી વિગત મુજબ માળીયા સંઘને પણ દબાણ અંગેની નોટિસ આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં માળીયા સંઘના દબાણ પર પણ ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.