રોષે ભરાયેલા સ્થાનિકો પાલિકા કચેરીએ રજુઆત કરવા ગયા પરંતુ કોઈ અધિકારી કે પદાધિકારી હાજર ન હોવાથી નિરાશ થઈને પરત ફરવું પડ્યું મોરબી: મોરબીના સામાકાંઠે મફતિયાપરામાં છેલ્લા ૧૦ દિવસથી પાણી આવતું ન હોવાથી રહીશોમાં રોષ ભભૂકયો છે. આજે રોષે ભરાયેલા સ્થાનિકો પાણી અંગેની સમસ્યાની રજુઆત કરવા પાલિકા કચેરીએ દોડી ગયા હતા પરંતુ કમનસીબે પાલિકા કચેરીએ કોઈ હાજર ન હતું. મોરબીના સામાકાંઠે વિધુતનગર પાસે આવેલા મફતીયાપરામાં રહેતા રહીશોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી પાણી આવતું નથી. ઉનાળાની અસહ્ય ગરમીમાં તેઓને પાણી માટે રીતસર વલખા મારવા પડે છે. તેમના વિસ્તારમાં પાણીની લાઈન નીકળે છે. ત્યાં અગાઉ વાલ્વ ફિટ કરવામાં આવ્યો હતો. આ વાલ્વ ખોલવામાં ન આવતા આ સમસ્યા ઉદભવી છે. ૧૦ દિવસ પાણી ન મળતા મફતીયાપરાના રહીશોની હાલત કફોડી બની છે. ત્યારે આ પ્રશ્નની રજુઆત કરવા સ્થાનિકો નગરપાલિકા કચેરીએ ગયા હતા. પરંતુ કચેરીએ કોઈ અધિકારી કે પદાધિકારી હાજર ન હોવાથી સ્થાનિકોને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું.