૨ પીઆઈ, ૬ પીએસઆઈ અને ૬૦ પોલીસ જવાનોની ટુકડીએ નવલખી આસપાસનો દરિયાકાંઠો ધમરોળ્યો મોરબી: ગુજરાત રાજ્ય ૧૬૦૦ કિલોમીટરના વિશાળ દરિયાકિનારે સુરક્ષા જળવાઈ રહે તે હેતુ થી સુરક્ષા કવચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયાની સુરક્ષાને લઈને રાજ્યભરમાં યોજાયેલા સાગર કવચ ઓપરેશન અંતર્ગત મોરબીની ટીમોએ પણ દરિયામાં કોમ્બિંગ કર્યું હતું. ૧૦ વર્ષ પૂર્વે મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં આતંકવાદીઓ દરિયાઈ માર્ગે ભારતમાં ઘુસ્યા હતા. આમ દરિયા કિનારે સુરક્ષામાં થયેલી નાની એવી લાપરવાહી પણ ઘાતક નીવડી શકે છે. દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈને રાજ્યના તમામ દરિયાકાંઠે ઓપરેશન સાગર કવચ યોજાયું હતું જેમાં મોરબીના નવલખી બંદર ખાતે ૨ પીઆઈ, ૬ પીએસઆઈ અને ૬૦ પોલીસ જવાનોની ટીમોએ તા. ૪ ના સવારથી તા. ૦૫ સુધી સતત દરિયામાં કોમ્બિંગ કર્યું હતું ૩૬ કલાક સુધી દરિયામાં આવતી જતી બોટોના ચેકિંગ કર્યા હતા તો શંકાસ્પદ બોટો પણ તંત્ર દ્વારા રાજ્ય લેવલે ગોઠવાઈ હતી જેને ઝડપી લેવાની કામગીરી એટલે કે મોકડ્રીલ યોજવામાં આવી હતી જોકે મોરબીના જવાનોના ૩૬ કલાક કોમ્બિંગ કર્યું તે દરમિયાન મોરબી આસપાસ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ બોટો મળી આવી ન હતી. આ જવાનો દ્વારા લેન્ડીંગ પોઈન્ટ, ચેકપોસ્ટ સહિતના વિસ્તારોમાં સતત કોમ્બિંગ કરાયું હતુ.