લક્ષમીનગર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના અંધજનોએ જાતે બનાવેલા વાદ્યવૃદ ઓરકેસ્ટ્રા પાર્ટીનો પ્રારંભ : હવે પ્રજ્ઞાચક્ષુઓ લગ્ન પ્રસંગોમાં જઇ કલાના કામણ પાથરી સ્વનિર્ભર બનશે મોરબી : કહેવાય છે કે કુદરત માનવી પાસેથી એક શક્તિ છીનવી લે તો બીજી એવી શક્તિ આપી દે છે કે એ શક્તિવિહીન વ્યક્તિ સામાન્ય માણસ કરતા પણ ચડિયાતો પુરવાર થાય છે.આવી જ રીતે મોરબીના લક્ષમીનગર પાસે આવેલા અંધજન સંસ્થાના દ્રષ્ટિવિહીન લોકોએ કુદરતની આ શક્તિને પિછાણીને જાતે કલાને ઓળખી ઓરકેસ્ટ્રા પાર્ટી બનાવી છે.પોતાનામાં રહેલી સુર સંગીતની કલાને લોકો બિરદાવે તથા એના થકી રોજગારી મેળવી શકાય તે માટે આ પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃદ ઓરકેસ્ટ્રા પાર્ટીનો શુભારંભ કર્યો હતો. મોરબીના લક્ષમીનગર ગામે આવેલા પ્રજ્ઞાચક્ષુઓના પુનર્વસન કેન્દ્રમાં હાલ 135 અંધ ભાઈબહેનો આશ્રેય મેળવી રહ્યા છે.જોકે દાતાઓ તરફથી આ પ્રજ્ઞાચક્ષુઓ વિકાસ માટે અવિરત દાન રૂપે વાત્સલ્ય વહેતુ રહે છે.પરંતુ આ અંધજન સંસ્થાના નેત્રહીનોએ જાતે સ્વનિર્ભર બનાવવાનો હકારાત્મક પ્રયાસ કર્યો છે. પ્રજ્ઞાચક્ષુઓમાં કુદરતે બક્ષેલી શકિતઓને લોકો ઓળખી બિરદાવે તથા તેમની આ કલાના માધ્યમથી સ્વરોજગારી પ્રાપ્ત થાય એવા હેતુસર અંધજન હાતીમ રંગવાલાના માગદર્શન હેઠળ 14 નેત્રહીનોએ ઓરકેસ્ટ્રા બેન્ડ બનાવ્યું છે.જેમાં 14 પ્રજ્ઞાચક્ષુઓનું ગ્રુપ બેન્ડ ઓર્ગન ડ્રમ કુશળતાપૂર્વક વગાડી ગાયકીના અદભુત સુર રેલાવે છે. ગઈકાલે આ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃદ નામની ઓરકેસ્ટ્રા પાર્ટીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ જે.પી.જેસવાણી, અનિલભાઈ મહેતા, ગામના સરપંચ બાલકૃષ્ણ વિરસોડિયા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.જોકે સુર સગીતની કલાસાધનામાં નિપુણ હોય તેમ પ્રજ્ઞાચક્ષુઓ કર્ણપીય સુર સાથે અદભુત સંગીતની સુરાવલી છેડતા શ્રોતાઓ રીતસર ડોલી ઉઠ્યા હતા અને પ્રજ્ઞાચક્ષુઓએ લગ્નગીત અને દાંડિયારાસની રમઝટ બોલાવી હતી.બાદમાં ખેલમહાકુંભમાં ઉજ્જવળ દેખાવ કરનાર 15 અંધજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.હવે લગ્ન સહિતના સારા પ્રસંગોમાં ઓરકેસ્ટ્રા પાર્ટીની ધૂમ મચાવીને સ્વનિર્ભર બનશે. આ માટે લોકોને મદદરુપ બનવાની અપીલ કરાઈ છે.