માનવાધિકાર પંચને કરેલી અરજી મુજબ યોગ્ય તપાસ કરવા ખાતરી અપાતા મામલો થાળે પડ્યો મોરબી : મોરબીમાં બોરીચાવાસમાં રહેતા યુવાન હત્યા પ્રકરણમાં સાંજે એ ડિવિઝન પોલિસ મથકે મૃતદેહ લાવી જ્યાં સુધી તમામ દોષિત વિરુદ્ધ ફરિયાદ ન નોંધાઇ ત્યાં સુધી મૃતદેહ અહીંથી નહિ લઈ જઈએ તેવી માંગ કરનાર પરિવારજનોને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ન્યાયિક તપાસની ખાતરી આપતા બે કલાકના અંતે મૃતદેહ સ્વીકારી અંતિમવિધિ કરવામાં આવી હતી. મોરબીમાં બોરીચા યુવાનને માથાકૂટ બાદ પોલીસે માર મારવાને કારણે મૃત્યુ થયાનો આરોપ લગાવી આજે અમદાવાદથી મૃતદેહને સીધો જ સીટી - એ ડિવિઝન પોલીસ મથકે લાવી મૃતક યુવાનના પરિવારજનોએ જ્યાં સુધી માનવાધિકાર પંચને કરાયેલ ફરિયાદ મુજબના આરોપીઓ સામે ફરિયાદ નહિ નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસ, વી.બી.જાડેજા, એ- ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરી સહિતના અધિકારીઓએ મૃતકના પરિવારજનોને ન્યાયિક તપાસની ખાતરી આપી માનવાધિકારપંચને થયેલી રજુઆત મુજબ યોગ્ય ઉકેલ કરવાની ખાતરી આપવામાં આવતા અંતે બે કલાક બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી અંતિમવિધિ કરી હતી.