છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી પાસેની 'મહેશ્વરી મેડિસિન' નામની દુકાનમાં દવા લેવા માટે એક શખ્સ આવ્યો હતો. જો કે તેની પાસે ડોક્ટર દ્વારા લખી આપવામાં આવતું પ્રિસ્કીપશન ન હોવાથી દુકાનદારે દવા આપવામા અસમર્થતા બતાવી હતી. આથી ઉશ્કેરાયેલા શખ્સે વેપારીને ગાળો ભાંડીને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ દુકાનના કાઉન્ટર ઉપરનો કાચ તોડી નાખ્યો હતો અને મોટરસાયકલમાં પણ નુકશાન કર્યું હતું. જેથી કરીને ભોગ બનેલા વેપારીએ મોરબી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તોડફોડ કરીને ધમકી આપનારા શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ છે. બનાવ સંદર્ભે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે શહેરના રવાપર રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા અને ચિત્રકૂટ સોસાયટી પાસે 'મહેશ્વરી મેડિસિન એન્ડ જનરલ સ્ટોર' નામની દુકાન ધરાવતા જયંતીલાલ મોતીરામ મહેશ્વરી (ઉ.૫૬) ગઈકાલે પોતાની દુકાને બેઠા હતા તે સમય દરમિયાન ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો જીગ્નેશ પાઠક નામનો શખ્સ દવા લેવા માટે આવ્યો હતો.તેની પાસે ડોકટરે લખી આપેલ પ્રિસ્કિપશન ન હોવાથી દુકાનદારે દવા આપવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાઈ ગયેલા જીગ્નેશ પાઠકે દુકાનદારને ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની પાસે રહેલી છરી દુકાનના કાઉન્ટર પરના કાચમાં મારીને કાચ તોડી નાખ્યો હતો તેમજ દુકાન પાસે પડેલા બાઇકમાં પણ નુકશાની કરી હતી. જેથી દુકાનદાર જયંતિલાલ મહેશ્વરીએ જીગ્નેશ પાઠક સામે મોરબી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આઈપીસી કલમ 504, 506 (2), 427 તથા જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.