પ્રેમલગ્ન બાદ સંતાન ન થતા હોવાથી પતિ સહિતના સાસરિયાઓ ત્રાસ આપતા પરણીતાએ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીના પરશુરામ મંદિર નજીક ગઈકાલે રેલવેના પાટા પર ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેનાર પરિણીતાનો મૃતદેહ ૧૭ કલાક બાદ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ સ્વીકારવામાં આવતા પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી રોડ પર યમુનાનગરમાં રહેતી લલીતાબેન ધર્મેન્દ્રભાઈ પોપટ ઉ. ૩૨ નામની મહિલાએ પરશુરામ મંદિર સામે રેલવે ટ્રેક પર એન્જીન હેઠળ આપઘાત કરી લીધો હતો બીજી તરફ આપઘાતની ઘટના બાદ મૃતક પરણીતાનો પતિ સાસરિયાઓના ડરને કારણે હાજર ન થતા લલીતાબેનના માતાપિતા અને પરિવારજનો દ્વારા જ્યાં સુધી સાસરિયાઓ વિરુદ્ધ ગુન્હો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાનું જાહેર કરી હોસ્પિટલના પી.એમ.રૂમ ખાતે બંને પક્ષના લોકો એકત્રિત થઈ ગયા હતા. દરમિયાન મૃતક લલિતાબેનના આ બીજા લગ્ન હોવાનું અને સંતાન ન થતા હોય પતિ સહિતના સાસરિયાઓ પરિણીતાને ત્રાસ આપતા હોવાની મૃતકના ભાઈ બીપીનભાઈ લખમણભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધવતા પોલીસે ગુન્હો નોંધતા અંતે ૧૭ કલાક બાદ રેલવે પોલીસ અને બંને પક્ષના આગેવાનોની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.