મચ્છીપીઠ નજીક કુખ્યાત શખ્સોએ આંતક મચાવતા વેપારી આલમમાં રોષ મોરબી : મોરબીના લોહાણા વેપારીની દુકાન નજીક બેફામ ગાળા-ગાળી કરી રહેલા શખ્સોને ગાળો બોલવાની ના પડવા બદલ કુખ્યાત શખ્સોએ યુવાન વેપારી પર હુમલો કરતા આ મામલે એ-ડિવિઝન પોલીસ મથકમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ભારેખમ કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ મોરબીના મહેન્દ્રનગરમાં દુકાન ધરાવતા વિશાલભાઈ જેન્તીભાઈ કક્કડ ઉ.૩૦ ગઇકાલે પોતાની દુકાને હતા ત્યારે દુકાન પાસે ગાળો બોલી રહેલા આરોપી નિઝામ અને મુનિયા બારોટ નામના શખ્સને ગાળો નહિ બોલવા કહ્યું હતું બાદમાં ઉશ્કેરાઈ ગયેલા બન્ને શખ્સોએ ફોન કરી જુસબ હુસેન મોવર અને ઇમરાન ઉર્ફે ઇમલાને બોલાવી ફરિયાદી અને સાહેદ ઉપર લાકડાના ધોકા લઈ તૂટી પડ્યા હતા. વધુમાં ચારેય શખ્સોએ કરેલા હુમલાને કારણે ફરિયાદી વિશાલ કક્કડની માથામાં ગળાના ભાગે તેમજ શરીરમાં ઇજાઓ થતા આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ઘટના અંગે મોરબી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ૩૨૪,૩૨૫, ૫૦૪ અને ૫૦૬/૨ સહિતની ભારે કલમો મુજબ ગુન્હો નોંધી ચારેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.