સફાઈ કર્મીઓ, ૫૦ દાતાઓ, ૧૦૦ સ્થાનિક કલાકારો અને ૧૫૦ સ્વયંસેવકોનું ભારત માતાની તસ્વીર અને શિલ્ડ અર્પણ કરી બહુમાન કરાયું મોરબી : માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજીત મહા નાટક જાણતારાજાના ૮ શો ભવ્યતા થી સંપન્ન થયા હતા. મહાનાટકને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો.ત્યારે આ મહાનાટકને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપનાર સફાઈ કામદારો, દાતાઓ, સ્વયંસેવકો અને કલાકારો સહિતના રાષ્ટ્રભક્તોનો સત્કાર સમારોહ યોજાયો હતો. મોરબીમાં જાણતા રાજા મહાનાટકને ભવ્ય લોક પ્રતિસાદ મળ્યો હતો. રાષ્ટ્રભકતોના સહયોગથી મહાનાટક સફળ રહ્યું હતું. રાષ્ટ્રભકતોએ શક્ય તેટલા તમામ પ્રયાસો કરીને ભારત માતાના મંદિરના નિર્માણ અર્થે ભજવાયેલ મહાનાટકમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. મહાનાટકને સફળ બનાવવા સફાઈ કામદારો સહયોગીઓ, કલાકારો, દાતાઓ અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. ત્યારે આ તમામ રાષ્ટ્રભક્તોના સત્કાર માટે એક ખાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્કાર સમારોહમાં પ્રથમ સફાઈ કર્મચારીઓને શિલ્ડ અને ભારતમાતાની તસ્વીર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ નાટક દરમિયાન રૂ.૩ કરોડનું માતબર અનુદાન આપનાર ૫૦ જેટલા દાતાઓનું, ૧૦૦ જેટલા સ્થાનિક કલાકારનું તેમજ ૧૫૦ થી વધુ સ્વયંસેવકોને ભારત માતાની તસ્વીર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સત્કાર સમારોહમાં પશ્ચિમ ક્ષેત્ર સર સંઘચાલક ડો.જેન્તીભાઈ ભાડેસિયા, દામજીભાઈ ભગત અને જગદીશભાઈ વરમોરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.