મોરબી : છેલ્લા બે વર્ષથી અનડીટેકટ રહેલ સુરેન્દ્રનગરના ઘરફોડીના ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી લેવામાં મોરબી એલસીબીને સફળતા મળી છે. જાણવા મળ્યા મુજબ મોરબી એલસીબી સ્ટાફના રાજનીકાંતભાઈ કૈલા અને નંદલાલભાઈ વરમોરને મળેલ હકીકતને આધારે સુરેન્દ્રનગરમાં થયેલ ઘરફોડીના ગુન્હામાં ઇકબાલ ઇશાકભાઈ બાબરીયા ઉ.૨૪ અને ગફુર ઇશાકભાઈ બાબરીયા ઉ.૨૯ રે.બન્ને નૂરમામદ સોસાયટી, જૂનું જંકશન, સુરેન્દ્રનગર વાળાને અલગ અલગ બે ગુન્હામાં ઝડપી લઈ રૂપિયા ૮૫૦૦૦ ની સોનાના ચાંદીના દાગીનાઓનો ગુન્હો ઉકેલી નાખ્યો હતો. વધુમાં પકડાયેલ બન્ને આરોપીઓએ આ ચોરીના કિસ્સામાં દાઉદ સલીમભાઈ મોવર તથા અબ્જલ સૈયદ રે.બન્ને સુરેન્દ્રનગર વાળાની પણ સંડોવણી ખુલવા પામતા બન્નેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં પકડાયેલ આરોપીઓએ સોના ચાંદીના દાગીનાઓ અમદાવાદ માણેક ચોકમાં જમાલભાઈ સોનીને વેચેલ હોવાંનું જણાવેલ છે. આ ઉપરાંત આ તસ્કરોએ સુરેન્દ્રનગરની છ થી સાત ઘરફોડ ચોરીની કબૂલાત આપી હોવાનું એલસીબી સૂત્રોએ જણાવ્યું હતું.