કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળની વિદ્યાર્થીનીઓ દ્વારા ૫૦ હજાર, શીક્ષકો દ્વારા ૧ લાખ અને સંચાલકો દ્વારા દોઢ લાખનું ફંડ અપાયું મોરબી : કેરળ પુર પીડિતો માટે મોરબીમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે ત્યારે આજે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ (મોરબી કન્યા છાત્રાલય) ના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ દ્વારા ત્રણ લાખ અગિયાર હજારનું ફંડ જિલ્લા કલેકટરને અર્પણ કરવામાં આવ્યું હતું. કેરળમાં આવેલા વિનાશક પૂરના કારણે લાખો લોકોએ ઘર બાર ગુમાવ્યા છે અને સેંકડો લોકો મોતને ભેટ્યા છે ત્યારે મોરબીની સેવાભાવી પ્રજા દ્વારા અગાઉ સહાય મોકલ્યા બાદ હજુ પણ અવિરત પણે સહાય રાહત મોકલવામાં આવી રહી છે. દરમિયાન મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ (મોરબી કન્યા છાત્રાલય) દ્વારા કેરળના પુર પીડિતો માટે સહાય એકત્રિત કરવા પહેલ કરવામાં આવતા વિદ્યાર્થીનીઓ દ્વારા ૫૦ હજાર, શિક્ષકો દ્વારા ૧ લાખ અને હાલ સંચાલકો દ્વારા દોઢ લાખ મળી કેરળ પુરપીડિતો માટે ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા એકત્રિત કરી આજરોજ જિલ્લા કલેકટર મોરબીને સહાયની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંસ્થાના આગેવાનો બેચરભાઈ હોથી, વલમજીભાઈ અમૃતિયા અને સંસ્થાના શિક્ષકો, વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જિલ્લા કલેકટર આર,જે માકડીયા અને અધિક કલેકટર કેતન જોશીએ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના સંચાલકો, શિક્ષકો અને વિધાર્થિનીઓને કેરળ પૂર પીડિતની મદદ માટે ફંડ એકત્ર કરવા બદલ સરહાના કરી હતી અને તેમને બિરદાવ્યા હતા.