સતાની સાઠમારીમાં કારોબારી સહિતની સમિતિઓ મૂર્છિત : ત્રણ મહિના બાદ મળી રહેલા જનરલ બોર્ડમાં નવા જુનીના એંધાણ મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં સતાની સાઠમારી વચ્ચે કારોબારી સહિતની સમિતિઓની રચના ન થતા આવતીકાલે મળી રહેલા જનરલ બોર્ડમાં બિનખેતીની ફાઈલો ક્લિયર કરવાની સાથે સાથે જુદા - જુદા ૨૨ મુદા સમાવી એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ - ઉપ પ્રમુખની વરણી મામલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ બાદ સતાના સૂત્રો પૂર્વ કારોબારી અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયાએ હસ્તગત કરી લીધા હતા અને સતાવાર રીતે છેલ્લા છ મહિનામાં જનરલ બોર્ડમાં મહત્વની બાબતોની બાદબાકી કરી ગત તા. ૨૦ જૂને મળેલ સામાન્ય સભામાં માત્ર પ્રમુખ, ઉપ પ્રમુખની વરણીને બહાલી આપી સભા પૂર્ણ કરી લેવામાં આવી હતી. હાલમાં જિલ્લા પંચાયતમાં કારોબારી સહિતની એક પણ સમિતિ અસ્તિત્વમાં ન હોવાથી આવતીકાલે મળી રહેલી સામાન્ય સભામાં બિનખેતીના પ્રકરણો સહિત જુદા - જુદા વિકાસ કામોને લીલીઝંડી આપવા એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે. કુલ ૨૨ મુદાને સમાવતા જિલ્લા પંચાયતની સામાન્ય સભાના એજન્ડામાં શક્ત શનાળા, અમરેલી અને માળીયા વનાળિયા સોસાયટી વિસ્તારને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાના અભિપ્રાયને પણ સામેલ કરવામાં આવ્યા છે.