મોરબી : મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય તરફથી લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો એપ્રીલ-૨૦૧૮ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા.૨૬/૦૪/૨૦૧૮ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે, જેમાં જિલ્લા કક્ષાનાં પ્રશ્નો- ફરિયાદો ૧૦મી એપ્રિલ-૨૦૧૮ સુધીમાં સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને પહોંચતા કરવાના રહેશે. તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે-તે તાલુકા મથકે મામલતદાર કચેરીમાં યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્ર્નો તેમને પહોંચતા કરવાના રહેશે તેમજ ગ્રામ સ્વાગતમાં ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્ર્નો/રજૂઆત અંગેની અરજી ‘‘મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી’’ તેમ લખીને સંબંધિત ગામના તલાટી/મંત્રીશ્રીને સંબોધીને પહોંચતી કરવી. મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો મોરબી જિલ્લા પુરતા જિલ્લા કલેકટર કચેરી, મોરબી ખાતે રજુ કરવાનાં રહેશે અન્ય ખાતાના પ્રશ્નો હોયતો તે પ્રશ્નો જેતે ખાતાને જ મુદત હરોળ રજુ કરવા ખાસ નોંધ લેવી. જયારે (૧)મહેસુલી તંત્ર (ર)જિલ્લા પંચાયત (૩)પોલીસ વિભાગ (૪)ગુજરાત વિઘુતબોર્ડ (પ)એસ.ટી. (૬) પાણી પુરવઠા બોર્ડ (૭)નગરપાલીકાના પ્રશ્નો જિલ્લા કલેકટર કચેરી, મોરબી ખાતે તારીખ ૨૬/૦૪/૨૦૧૮નાં રોજ સવારનાં ૧૧.૦૦ કલાકે કચેરીનાં સભાખંડમાં સંબંધિત ખાતાનાં અધિકારીઓ અને કલેકટરશ્રી સાંભળશે. આ સિવાયના અન્ય ખાતાના પ્રશ્નોની ચર્ચા કલેકટર કચેરી ખાતે થશે નહી. આ સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં તેજ દિવસે ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અધિકારીઓ પ્રશ્નોનો નિકાલ કરશે. જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટર કેતન જોષી મોરબી દ્વારા જણાવાયું છે. મોરબી જિલ્લા સંકલન ફરીયાદ સમિતીની બેઠક ૨૧મી એપ્રિલે યોજાશે મોરબી : મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક તા.૨૧-૦૪-૨૦૧૮ના રોજ બપોરના ૩-૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરીયાદ સમિતીમાં રજુ થયેલા પ્રશ્નો અને તેની સુનવણી તેમજ સમીક્ષા કરાશે. બેઠકમાં આધારકાર્ડની થયેલ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે. જેને ધ્યાનમાં લઇ આ બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીશ્રીઓએ જરૂરી વિગતો સાથે જાતે જ ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષીની યાદીમાં જણાવાયું છે.