સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યાર્થી તરીકે,ખેડુત તરીકે અને જાહેર જીવનના પ્રતિનિધિ તરીકે નિડર અને દ્રઢ નિર્ણાયકશક્તિ ધરાવતાં હતાં : આઇ.કે.જાડેજા મોરબી : મોરબીના ત્રાજપર ખાતેથી એકતાયાત્રા રથ પ્રસ્થાન કાર્યક્રમ પ્રસંગે સ્વાર્ણિમ ગુજરાત ૫૦-મુદ્દા અમલીકરણ સમિતિ કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ વિદ્યાર્થી તરીકે, ખેડુત તરીકે અને જાહેર જીવનના પ્રતિનિધિ તરીકે નિડર અને દ્રઢ નિર્ણાયકશકિત ધરાવતા હતાં. ભારતની આઝાદીના એક એવા સિપાહી કે જેમણે મહાન શિક્ષક ચાણકયના વર્ષો બાદ ફરી એક અખંડ ભારતની કલ્પના કરી અને તેને સાકાર પણ કરી તે હતા ગુજરાતના પનોતા પુત્ર અને દેશની એકતા અને અખંડીતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ.જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતના આણંદ જિલ્લાના કરમસદ ગામમાં જન્મેલા વલ્લભભાઇ બચપણથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા. ઇ.સ.૧૮૯૭માં નડીયાદથી મેટ્રીક પાસ થયેલા વલ્લભભાઇ અંગ્રેજી પર સારૂ એવું પ્રભુત્વ ધરાવતાં હતા. શ્રેષ્ઠ નેતા બનવાના તમામ ગુણો તેઓના અભ્યાસકાળ દરમિયાન જ બહાર આવેલા હતા. તેઓ વિદ્યાઅભ્યાસમાં હોશિેયાર હોવા સાથે નિડર અને દ્રઢ નિર્ણાયકશક્તિ ધરાવતાં હતાં. બાળપણમાં વિદ્યાર્થીકાળથી જ તેઓ અન્યાયનો વિરોધ કરવામાં અગ્રેસર રહ્યા હતા.જયારે દેશના ૫૬૨ રજવાડાને એક કરી ભારત દેશને અખંડ કરવાનું સૌભાગ્ય શ્રી સરદાર પટેલે પ્રાપ્ત કર્યું હતું. અખંડ ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇની વૈશ્વીક પ્રતિભાને અનુરૂપ વિશ્વ ભરમાં સૌથી ઉંચી ૧૮૨ મીટર ઉંચી પ્રતિમાનું નર્મદાના નયનરમ્ય તટે ૧૯ હજાર સ્કવેર મીટર જેવી વિશાળ જગ્યામાં અંદાજે રૂા. ૨,૩૩૨ કરોડના ખર્ચે નિમાર્ણ કરાયું છે. જેમાં દેશના દરેક ગામે ગામથી માટી, લોખંડના ઓજારો પહોંચાડીને સરદાર સરોવરના હેઠવાસમાં નર્મદાનદીના મધ્યે સાધુ બેટ પર આકાર પામેલા સમગ્ર વિશ્વને અચંબીત કરતા આ ભવ્ય સ્મારકમાં સ્ટેચ્યુ ઓફ યુનીટી તરીકે વિશ્વભરમાં પ્રચલીત થનાર આ પ્રતિમાના નિમાર્ણનું સ્વપ્ન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન હતું જે આજે ફળીભૂત થયું છે. આ પ્રતિમાનું લોકાપર્ણ તા.૩૧ મી ઓકટોમ્બરના રોજ થનાર છે. જેમાં સરદાર પટેલ મ્યુઝિયમ, આકર્ષક બ્રીજ, નયનરમ્ય ફુલોની વેલી સહિત અનેક આકર્ષણોથી સુશોભિત થનાર આ સ્થળ દેશ અને વિદેશના અનેક સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હરેક વિદ્યાર્થીઓથી માંડીને સિનીયર સીટીજન નાગરીકો આ સ્થળની એક વખત જરૂર મુલાકાત લે તેવો જાડેજાએ અનુરોધ કર્યો હતો. સમગ્ર રાજયમાં એકતા યાત્રાનું પરિભ્રમણ થવાનું છે ત્યારે આ રથયાત્રામાં જનજન જોડાય અને સરદાર પટેલના એકતા-અખંડિતતાના સંદેશાને પહોંચાડી દેશના એકસૂત્રતાના તાંતણે બાંધવા જન જનને સંકલ્પબધ્ધ થવા આઇ.કે.જાડેજાએ અનુરોધ કર્યો હતો. ગાંધીજી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, જવાહર નહેરૂ જેવી વેશભુષા અંતર્ગત નાના વિદ્યાર્થીઓને આઇ.કે.જાડેજા હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યા હતાં. જયારે સમારંભના સમાપન બાદ શ્રી આઇ.કે.જાડેજાએ સરદાર પટેલની પ્રતિમાની આરતી ઉતારી હતી. અને લીલીઝંડી આપી એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કલેકટર આર.જે.માકડીયાએ મંચસ્થ મહાનુભાવોનું પ્રસંગોચિત સ્વાગત પ્રવચન કર્યુ હતું. જયારે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇએ પણ પ્રસંગોચિત વ્યકતવ્ય આપ્યું હતું. આ પ્રસંગે પૂર્વમંત્રી જયંતિભાઇ કવાડીયા, ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, જયોતિસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેટકર કેતન જોશી, તેમજ મંચસ્થ મહાનુભાવો તેમજ મોરબી શહેરના વિદ્યાર્થી અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.