મોરબીઃ સૌરાષ્ટ્રની અન્ડર-14,16 અને 19 ક્રિકેટ ટીમમાં મોરબી ક્રિકેટ એસોસિએશનના 5 ખેલાડીઓની પસંદગી થઈ છે. ત્યારે આ મોરબીની ક્રિકેટ પ્રેમી જનતા માટે ગૌરવપૂર્ણ સમાચાર છે. જેમાં અન્ડર-14માં રાધે ભીમાણી, અન્ડર-16માં દિગ્વિજય પરમાર અને નિખિલ છત્તરીયા, અન્ડર-19માં માનવ અઘરા અને મનજીત કુમખાણીયાની પસંદગી થઈ છે. આ અંગે મોરબી જીલ્લા ક્રિકેટ એસોસિએશનના હેડ કોચ તરીકે કાર્યરત નિશાંત જાનીના જણાવ્યા અનુસાર વર્ષ 2014માં મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાણ થયું હતું. ત્યારથી આજ સુધીમાં સિનિયર ડિસ્ટ્રિક્ટ, અન્ડર 25 ડિસ્ટ્રિક્ટ, અન્ડર 19 ડિસ્ટ્રિક્ટ અન્ડર 16 ડિસ્ટ્રિક્ટ અને અન્ડર 14 ડિસ્ટ્રિક્ટની ઘણી બધી ટીમોને માન્ય મળી હતી. હેડ કોચ નિશાંત જાનીના મતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની માન્યતા પ્રાપ્ત કરવી ખુબ જ કઠિન છે. પણ મોરબીના ક્રિકેટર્સની મહેનત અને હેડ કોચ નિશાંત જાનીના પ્રયત્નનોથી દરેક વય જૂથ મુજબ મોરબી ક્રિકેટ એસોસિએશનને માન્યતા પ્રાપ્ત થઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નિરંજન શાહ અને પ્રેસિડેન્ટ જયદેવ શાહએ અગ્રીમ ફાળો ભજવ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ખેલાડીઓને કાંઈ તકલીફ ન પડે એ માટે જયદેવ શાહ દૈનિક 10 કલાક સુધી નિરંતર મહેનત કરી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ તેમણે ધરખમ ફેરફાર કરી ખેલાડીઓને અનેકવિધ સુવિધાઓ પુરી પાડી છે. આ સાથે આખા વર્ષ દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ શકે તે માટે જયદેવ શાહ પ્રયત્નશીલ છે. તેઓ ખેલાડીઓની નાની-મોટી દરેક મુશ્કેલીઓનો ઉકેલ લાવી દે છે. આ તકે મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાએ પસંદગી પામેલ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં મોરબીમાંથી કોઈ શ્રેષ્ઠ ક્રિકેટર બને અને તે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં જઈને મોરબીનુ નામ રોશન કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.