નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી યોગેશભાઇ પટેલે સંભવીત અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી મોરબી : ગુજરાત રાજ્ય પર અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી વાવાઝોડુ 'તાઉતે' ની અસર મોરબી જિલ્લામાં પણ થવાની છે. તેની સાવચેતીના ભાગરૂપે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારોમાં અગમચેતીના ભાગરૂપે સંભવીત અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ અને તાગ મેળવવા માટે રાજ્ય સરકારના નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી યોગેશભાઇ પટેલે સંભવીત અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. રાજ્ય સરકારના મંત્રી યોગેશભાઇ પટેલે મોરબીના નવલખી પોર્ટની પણ મુલાકાત લઇ સ્થળાંતરીત કરવામાં આવેલ નાગરિકો સાથે સંવાદ કરી આશ્રયસ્થાન, જમવા, પીવાના પાણી સહિતની અન્ય વ્યવસ્થાઓ બાબતે મોરબી અને માળીયા તાલુકાના ન્યુ નવલખી, જુમાવાડી, નવલખી બંદર તેમજ ઊંટબેટ શામપર ગામની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મોરબી જિલ્લાની મુલાકાત સંદર્ભે મંત્રી યોગેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, નવલખી પોર્ટની આસપાસ રહેતા માછીમાર પરિવારોને સાવચેતીના ભાગરૂપે અહીંના ટાટા નગર ખાતે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. સ્થળાંતરીત થયેલા લોકોને તંત્ર તરફથી જમવાની, રહેવાની, પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓ મળી રહે તે માટે પૂરતી તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેનું જાત નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. વાવાઝોડાથી લોકોનું ઓછામાં ઓછુ નુકસાન થાય અને એક પણ વ્યક્તિ મૃત્યુ ન પામે તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. મંત્રી યોગેશભાઈ પટેલના મોરબી પ્રવાસ દરમિયાન મોરબી-માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દૂર્લભજીભાઇ દેથરીયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમ્રુતીયા તથા વહીવટી તંત્રના સંબંધીત અધિકારીઓ તથા પદાધિકારીઓ હાજર રહ્યા હતા.