આરોપી પતિને આઠ વર્ષ, સાસુને 4 વર્ષ તથા સસરા 6 વર્ષની સજા ફટકારી મોરબી : મોરબીના વાડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાની બે દીકરીઓ સાથે આપઘાત કરી લીધાના બનાવમાં પુત્ર ઝંખનામાં પતિ તથા સાસુ-સસરાએ પરણીતાને ત્રાસ અપાવી મરવા મજબૂર કર્યાનો કેસમાં મોરબી કોર્ટે આરોપી પતિને આઠ વર્ષ જયારે અન્ય બે આરોપીને છ અને ચાર વર્ષની સજા ફટકારી હતી. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગોકુલનગર પાછળ મોરભગતની વાડી પાસે રહેતા શીતલબેન દયારામભાઈ પરમાર નામની પરિણીતાએ તા.15 મેં 2017ના રોજ પોતાની દીકરી જીંકલ (ઉ.વ.૦૩) અને પાયલ (૧૩ દિવસ) વાળીને કેરોસીન છાંટી તેમજ પોતે પણ કેરોસીન છાંટી સળગી જઈને આપઘાત કરી લેતા ત્રણેયના મોત નિપજ્યા હતા. આ બનાવ બાદ જે તે સમયે મૃતક પરિણીતાના ભાઈએ પોલીસમાં મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિ અને સાસુ-સસરાએ પુત્ર પ્રાપ્તિની ઝખના હોય પણ મૃતક પરણીતાએ બીજી વખત પુત્રીનો જન્મ આપતા પતિ સહિતના સસરિયારોએ તેણી પર ત્રાસ ગુજારીને મરવા મજબુર કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આ ફરિયાદ બાદ પોલીસે આરોપી પતિ દયારામભાઈ નરશીભાઈ પરમાર, સસરા નરશીભાઈ રવજીભાઈ પરમાર અને સાસુ શારદાબેન નરશીભાઈ પરમારની અટકાયત કરી હતી. પરિણીતાને મરવા મજબુર કરવા તેમજ દહેજ સહિતની કલમો અંગે ગુન્હો નોંધાયા બાદ આ અંગેનો કેસ મોરબી એડી ડીસ્ટ્રીક જજ સી.જી.મહેતાની કોર્ટમાં ચાલી જતા આજે કોર્ટે સરકારી વકીલ ધર્મેન્દ્રભાઈ આદ્રોજા અને સંજયભાઈ દવેની દલીલો તેમજ રજુ કરેલ પુરાવાઓને આધારે ત્રણેય આરોપીને દોષિત ઠેરવ્યા હતા અને આરોપી પતિને આઠ વર્ષની જેલની સજા અને રૂ.8 હજાર દંડ તેમજ આરોપી સસરાને છ વર્ષની સજા અને રૂ.5 હજારનો દંડ જયારે સાસુને ૪ વર્ષની સજા અને રૂ.3500નો દંડ ફટકાર્યો હતો.