ઇન્ડસ્ટ્રીઝના રોડ, રસ્તા, પાણી સહિતની આંતર માળખાકીય સુવિધા વિકસાવવા સરકારમાં રજુઆત કરાશે : મુકેશ ઉઘરેજા પ્રદુષણ અને સામાજિક જવાબદારીઓ પ્રશ્ને એસોસિએશન હકારાત્મક, સિરામિક ઉદ્યોગના વિકાસ માટે અલગ પ્રમોશન બોડી જરૂરી : નિલેશ જેતપરીયા મોરબી : વિકાસની હરણફાળ ભરી વિશ્વસ્તરે ઝડપીથી છવાઈ ગયેલા મોરબીના સીરામીક ઉદ્યોગને આવનાર સમયમાં નંબર વનની પોઝિશન પર લાવવા મોરબી સિરામિક એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખોએ કોલ આપી ઇન્ડસ્ટ્રીઝની સાથે - સાથે મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસનર વેગવંતો બનવવા સામાજિક જવાબદારી નિભાવવાનું વચન આપ્યું છે, સાથો સાથ સિરામિક ઉદ્યોગને વધુ વેગવંતો બનાવવા એસોસિએશન દ્વારા ભારત સરકારને આ ઉદ્યોગ માટે અલાયદી પ્રમોશન બોડી આપવા માંગ ઉઠાવી છે. ભારતના સૌથી મોટા ઔદ્યોગિક સંગઠન મોરબી સીરામીક એસોસીએશનના માળખામાં ફેર બદલ થઈ છે, સર્વ સંમતિથી વિટરીફાઈડ એસોસિએશનના પ્રમુખ પદે મુકેશ ઉઘરેજાની વરણી થઈ છે તો વોલ ટાઇલ્સ એસોસિએશનમાં નિલેશ જેતપરિયા રિપીટ થયા છે, ત્યારે પોતાની જવાબદારી અને એક ખાસ વાતચીતમાં બન્ને પ્રમુખોએ સીરામિક એસોસિએશનના વિકાસ અને પ્રદુષણ સહિતની બાબતોમાં દિલ ખોલીને વાત કરી માત્ર ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે જ નહીં પરંતુ આવનાર દિવસોમાં મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારો માટે પણ એસોસિએશન પોતાની જવાબદારી સુપેરે નિભાવશે તેવો કોલ બન્ને પ્રમુખોએ આપ્યો હતો. આ તકે વિટરીફાઇડ એસોસિએશન પ્રમુખ મુકેશભાઈએ જણાવ્યું હતું કે, મોરબીમાં સિરામિક ઉધોગે આટલો વિકાસ કર્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જ અમારી શહેર ગ્રામ્ય વિસ્તારો પ્રત્યે જવાબદારી બને છે, મોરબીના ટ્રાફિક પ્રશ્ન, પ્રદુષણ પ્રશ્ને સહિતની બાબતો માં સતાધીશો સાથે મળીને કામગીરી કરશે. દરમિયાન વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદે રિપીટ થયેલા નિલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે, ઝડપભેર વિકસી રહેલા સિરામિક ઉદ્યોગ માટે અલાયદી પ્રમોશન બોડી જરૂરી હોવાથી એસોસિએશન દ્વારા કોમર્સ મિનિસ્ટ્રીને રજુઆત કરવામાં આવી છે, અલાયદી પ્રમોશન બોડી હોય તો સિરામિક પ્રોડક્ટના દેશ વિદેશમાં પ્રમોશન માટે સરકાર તરફથી પ્રવાસ, એક્ઝિબિશન સહિતની બાબતોમાં પ્રોત્સાહન મળે છે જેને કારણે સિરામિક ઉદ્યોગ નો હજુ પણ વધુ વિકાસ શક્ય બનશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબી સીરામીક ઉદ્યોગ હાલ વૈશ્વિક ઉત્પાદનમાં ૧૨ થી ૧૩ ટકા હીસ્સો ધરાવે છે અને આવનાર ભવિષ્યમાં આ હિસ્સો ૩૫ ટકાએ પહોંચાડી ચીનને મ્હાત કરવાનો છે, ત્યારે સરકાર જીઆઇડીસીની જેમજ મોરબીના સિરામિક એકમોને રોડ, રસ્તા, પાણી સહિતની બાબતોમાં ખાસ સગવડ આપે તે જરૂરી હોવાનું ભાર પૂર્વક જણાવી સિરામિક કામદારો અને ઉદ્યોગ માટે નર્મદા યોજનના પાણી આપવાની તાતી જરીર હોવાનું ઉમેર્યું હતું. વધુમાં નિલેશ જેતપરિયાએ ઉમેર્યું હતું કે સીરામીક ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોને હાલ પીવાના પાણીની સાથે સાથે આરોગ્યની સેવા પણ નથી મળતી જેને પગલે આવનાર દિવસોમાં એસોસિએશન દ્વારા સરકારમાં રજુઆત કરી કામદારો માટે ખાસ અલગ હોસ્પિટલ નિર્માણ કરી પાયાની સુવિધાઓ મળે તે દિશામાં આગળ વધવા જી રહ્યા છીએ. જો કે પર્યાવરણ જાળવણી સહિતની બાબતોમાં બંને પ્રમુખોએ સર્વ સંમતિ દાખવી કંપનીઓના સીએસઆર ફંડ તેમજ સરકારની યોજનાઓ થકી ગ્રીન બેલ્ટ વિકસાવી મોરબી શહેરની ટ્રાફિક અને સ્વચ્છતા મુદ્દે મોરબી સિરામિક એસોસિએશન કટિબદ્ધ હોવાનું બન્ને પ્રમુખોએ અંતમાં જણાવ્યું હતું.