વૈશ્વિક મંદીના દોરમાં મોરબીમાં ૧પ૦૦ કરોડના રોકાણ સાથે પ૦ નવા યુનિટો સ્થપાશે મોરબી :સિરામીક ઉત્પાદકો થકી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડનાર મોરબીના ઉઘોગકારોએ મંદીના કપરા સંજોગોમાં પણ છેલ્લા એક વર્ષમાં બમણાથી વધુ નિકાસ કરી છે. અને આવનાર દિવસોમાં રૂ ૧૫૦૦ કરોડના રોકાણ સાથે નવા પ૦ વોલ ટાઇલ્સ યુનિટો શરુ કરવા જોર-શોરથી કામગીરી ચાલી રહી હોવાની વિગતો સાંપડી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ સિરામીક સીટી મોરબીનાં ઉઘોગકારોના પ્રયાસોને કારણે હાલ સમગ્ર વિશ્વમાં વોલ ટાઇલ્સ, ફલોર ટાઇલ્સ અને સેનેટરી વેર ઉત્પાદનોની જબરી ડીમાન્ડ છે. ચાઇના સાથે સીધી જ હરીફાઇ હોવા છતાં વર્ષ ૨૦૧૬-૧૭ માં ૬૨૦૦ કરોડની વિદેશી નિકાસ બાદ વર્ષ ૨૦૧૭-૧૮ માં મોરબીના ઉદ્યોગકારોએ ૧ર૦૦૦ કરોડથી વધુની સિરામીક પ્રોડકટની નિકાસ કરી વિદેશી હુઁડીયામણ કમાઇ આપ્યું છે. હાલમાં મોરબીમાં વોલ ટાઇલ્સ અને ફલોર ટાઇલ્સના ૬૪૦ થી વધુ યુનિટો છે. અને ૧૦૦ થી વધુ યુનિટો સેનેટરી વેર્સ્ટ ઉત્પાદકોમાં કાર્યરત છે એવા સંજોગોમાં આગામી ૧૦ મહીનામાં મોરબીમાં વધુ પ૦ યુનિટો ૧પ૦૦ કરોડના રોકાણ સાથે કાર્યરત થનાર છે અને હાલ નવા યુનિટોની કામગીરી જોશશોરથી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે મોરબીનો સિરામીક ઉઘોગ ઘર આંગણોનો માર્કેટનો બહોળો લાભ લેવાની સાથે સાથે અમેરીકા, ઓસ્ટ્રેલીયા, ગલ્ફ કન્ટ્રી , ઇટલી, સ્પેન સહીતના વૈશ્ર્વિક માર્કેટમાં પણ પોતાના ઉત્કષ્ટ ઉત્પાદન વેચી ધુમ વિદેશી હુંડીયામણ કમાઇ રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં વિદેશી આયાતકારોની ડિમાન્ડ મુજબની નવી થીમ વોલ ટાઇલ્સ જીવીટી અને પીજીવીટી સેગમેન્ટમાં ઉત્પાદનનો શરુ કરનાર હોવાનું સુત્રોએ અંતમાં જણાવ્યું હતું.