નાનીવાવડી અને લજાઈમાં પણ સગાઈ વિધિમાં નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા : કુલ આઠ લગ્ન મોરબી : લગ્નસરાની સિઝન શરૂ થતાં જ મોરબીમાં ઘડિયા લગ્નની ગાડી ટોપ ગિયરમાં પડી છે અને ગઈકાલે એક જ દિવસમાં એક, બે નહીં છ - છ વરઘોડિયા સગાઈ વિધિમાં જ લગ્નગ્રંથિથી જોડાયા હતા તો આજે લજાઈમાં પણ એક યુગલ સગાઈ પ્રસંગે જ ઘડિયા લગ્નથી જન્મો જન્મના બંધને બંધાયા હતા. ઉમિયા સમૂહલગ્ન સમિતિના વડીલોના આશીર્વાદ અને સમજાવટથી મોરબી જિલ્લાના પાટીદાર સમાજમાં ઘડિયા લગ્નનો વાયરો પુરજોશથી વાયો છે જેમાં ગઈકાલે એક જ દિવસમાં છ નવયુગલો સગાઈવિધિમાં જ લગ્નગ્રંથિથી જોડાયા હતા અને સામાજિક કુરિવાજને તિલાંજલિ આપી સમાજને ખોટા ખર્ચ બચાવવાનો સંદેશ આપ્યો હતો. ગઈકાલે મોરબી જિલ્લામાં અલગ - અલગ જગ્યાએ યોજાયેલ છ ઘડિયા લગ્ન સમારોહમાં (૧) જેપૂરના ચિ.દક્ષાબેન ચતુરભાઈ સાણજાના શુભલગ્ન ચાચાવડરડાના રાકેશકુમાર તુલશીભાઈ આદ્રોજા સાથે મોરબીના ક્રિષ્ના હોલ ખાતે યોજાયા હતા (૨) રાજપરના ચિ.ધારાબેન વલ્લભભાઈ મારવાણિયાના શુભલગ્ન નીચી માંડલના ચિ.દિવ્યેશ હસમુખભાઈ કુંડારીયા સાથે થયા હતા. (૩) મૂળ નાનભેલા અને હાલ રંગપર રહેતા ચિ.અંકિતાબેન શાંતિલાલ વાઘડિયાના શુભ લગ્ન મૂળ લક્ષ્મીવાસ અને હાલ મોરબી આલાપ પાર્કમાં રહેતા ચિ.ધવલકુમાર દેવચંદભાઈ કાવર સાથે થયા હતા. જ્યારે (૪) જેપુર નિવાસી ચિ.હેતલ કાંતિલાલ સાણજાના શુભ લગ્ન ખરેડા નિવાસી ચિ.મયંકકુમાર દિનેશભાઇ ડઢાણીયા સાથે યોજાયા હતા. (૫) નસીતપરના ચિ.હર્ષિલાબેન જયંતીલાલ અંદરપાના શુભ લગ્ન બેલા રંગપર નિવાસી ચિ.ઉદયભાઈ મનસુખભાઇ કણસાગરા સાથે થયા હતા અને (૬) સુલતાનપુર નિવાસી ચિ.પૂનમબેન રતિલાલ વિડજાના શુભ લગ્ન બેલા નિવાસી ચિ. હિરેન મનસુખભાઇ કણસાગરા સાથે સાદાઈ પૂર્વક યોજાયા હતા. આ ઉપરાંત તા.૩૦ના રોજ પણ મૂળ બોડકી અને હાલ મોરબી રહેતા ગં.સ્વરૂપ રમીલાબેન તથા સ્વ. મનસુખભાઇ ધરમશીભાઈ દેત્રોજાની સુપુત્રી ચી. પિનલના શુભ લગ્ન નાની વાવડી ગામના મંજુલાબેન તથા કરમશીભાઈ જાદવજીભાઇ કાચરોલાના સુપુત્ર ચિ. રજનીકાંત સાથે સગાઈ વિધિમાં જ ઘડિયા લગ્ન કરવામાં આવ્યા હતા. તો લજાઈ ગામના વસરામભાઈ ભવાનભાઈ પાણના સુપુત્ર ચિ.કિશોરના શુભ લગ્ન ગોરખીજડિયા નિવાસી ભુદરભાઈ લાલજીભાઈ મોરડીયાની સુપુત્રી ચિ.અંજના સાથે સગાઈ વિધિમાં જ મહેમાનોની હાજરીમાં ઘડિયા લગ્ન યોજાયા હતા. આમ, મોરબી જિલ્લામાં ઘડિયાલગ્નની ગાડી પુરપાટ ઝડપે દોડતા લગ્નસરાની સીઝનમાં બે દિવસમાં આઠ - આઠ ઘડિયા લગ્ન સંપ્પન થયા હતા.