કોયલી ગામે માતા સાથે ખરીદી કરવા આવેલી બન્ને બાળકી ભુલી પડી જતા શનાળા બસસ્ટેન્ડે આવી પહોંચી મોરબી : ખાનપર ગામની બે બાળકી ભૂલી પડી જતા શનાળા બસસ્ટેન્ડે પહોંચી ગઈ હતી. જ્યાં ૧૮૧ અભયમની ટીમે બન્ને બાળકીઓનું કાઉન્સેલિંગ કરીને તેના ઘરનું સરનામું જાણ્યું હતું. બાદમાં બન્ને બાળકીઓને તેના ઘરે મોકલવામાં આવી હતી. પ્રાપ્ત થતી વિગત મુજબ ખાનપર ગામની ૭ વર્ષની અને ૧૫ વર્ષની બાળકી તેમના માતા સાથે કોયલી ગામે ખરીદી કરવામાં આવી હતી. આ દરમિયાન બન્ને બાળકી માતાથી વિખૂટી પડી ગઈ હતી. ભૂલી પડેલી આ બાળકી શનાળા બસસ્ટેન્ડે પહોંચી હતી. શનાળા બસસ્ટેન્ડ ખાતે ભૂલી પડેલી બાળકી અંગે ૧૮૧ અભયમ ટીમને જાણ થતા કાઉન્સેલર અલકાબેન પરમાર, પાયલોટ દેવજીભાઈ વરાણીયા અને કોન્સ્ટેબલ હેતલબેન પરમાર શનાળા બસ સ્ટેન્ડે દોડી આવ્યા હતા. બાદમાં બાળકીઓની પુછપરછ કરવામાં આવતા તેઓએ તેમના ઘરનું સરનામું કહ્યું હતું. બાદમાં બન્ને બળકીઓનું મનિષાબેન ઝખાનીયાની મદદથી પરિવાર સાથે મિલાન કરાવાયું હતું.