ફક્ત આધારકાર્ડ બતાવી અગરિયાઓને રણમા જવા દેવામાં આવશેહળવદ : ઘુડખર માટે રક્ષિત કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને રણમાં પ્રવેશને લઈ સર્જાયેલ દ્વિધાભરી સ્થિતિમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિતના અગ્રણીઓની ઉચ્ચકક્ષાએ રજુઆત બાદ આજે વનવિભાગ સાથે અગરિયા મહાસંઘના આગેવાનોની બેઠક બાદ તમામ અગરિયાઓને આધારકાર્ડના આધારે રણમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવતા અગરિયાઓમાં ખુશીની લહેર દોડી ઉઠી છે.અગરિયા મહાસંઘ પ્રમુખ બચુભાઈ હરખાભાઈ દેગામાના જણાવ્યા મુજબ આજ રોજ ખારાઘોડા ચેક પોસ્ટ ખાતે આજે અગરિયા મહાસંઘના પ્રધીનિધીઓ, રાજકીય આગેવાન દિલીપભાઈ પટેલ તેમજ વ્યાપારીઓ અને અન્ય અગરિયા આગેવાનો તેમજ ધ્રાંગધ્રા અભિયારણ ના અધિકારી ડી.એફ.ઓ સાથે બેઠક યોજાયા બાદ જાહેરાત કરવામાં આવી હતી કે, ચેક પોસ્ટ ઉપર આધાર કાર્ડ આપી રજીસ્ટ્રેશન કરી મીઠુ પાકવતા અગરિયાઓ ને રણમાં મીઠુ પકવવા માટે જવા દેવામાં આવશે.અગરિયા સમાજનો પ્રશ્ન હલ થતા અગરિયા મહાસંઘ પ્રમુખ બચુભાઈ હરખાભાઈ દેગામા સહિતના આગેવાનોએ સરકાર તેમજ વનવિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગરિયાઓના મહત્વના પ્રશ્ને મોરબીના તમામ ધારાસભ્યોએ સરકારમાં અસરકારક રજુઆત કરી હતી જેનું સુખદ પરિણામ આવ્યું છે.