રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો તથા HTAT મુખ્ય શિક્ષકોની રજુઆત અન્વયે સરકારનું ધ્યાન દોરાયું મોરબી : રાજ્યમાં એચ.ટા.ટ. મુખ્ય શિક્ષકોની બદલી પ્રક્રિયા માટે રાષ્ટ્રીય શૈક્ષીક સંઘ દ્વારા થયેલી રજૂઆતને પગલે ધારાસભ્ય મેરજા દ્વારા શિક્ષણ વિભાગને રજુઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આશરે બારેક હજાર એચટાટ મુખ્ય શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. આ HTAT મુખ્ય શિક્ષકોના આર.આર. બની ગયા છે અને તેમનો શૈક્ષણિક કેડરમાં સમાવેશ કરવામાં આવેલ છે. તેમજ બદલી અંગેના નિયમો પણ બની ગયા છે. વધુમાં, એચ.ટા.ટ.ની પ્રથમ ભરતી વર્ષ ૨૦૧૨ માં થયેલ છે અને ત્યાર બાદ પણ ભરતી થયેલી છે. મોટાભાગના મુખ્ય શિક્ષકોને એક જ જગ્યાએ 5 થી 9 વર્ષ થવા આવ્યા છે. એટલે સ્વભાવિક છે કે અનેક મુ.શિ.ઓ. પોતાના વતન નજીક અથવા અનુકૂળ સ્થાને જવા ઇચ્છતા હોય. આ માટે બદલી ઇચ્છતા હોય, અરસ - પરસ બદલી કરવા માંગતા હોય, પતિ-પત્ની કેસનો લાભ લેવા માંગતા હોય, જિલ્લા ફેર કરવા પણ ઇચ્છતા હોય અને એ માટે વર્ષોથી બદલી કેમ્પની રાહ જોઈ રહ્યા હોય એ સમજી શકાય એવી બાબત છે. જેથી, આગામી સમયમાં શિક્ષકોની જેમ એચ.ટા.ટ. મુખ્ય શિક્ષકોના પણ બદલી કેમ્પ યોજાય એ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીની રજૂઆતને ધ્યાને લઈ મોરબીના જાગૃત ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી એચ.ટા.ટ. મુખ્ય શિક્ષકોનો બદલી કેમ્પ યોજવા રજુઆત કરેલ છે.