લોકોની સેવામાં કોઇ કચાસ રાખવામાં નહીં આવેઃ મંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી : મોરબીમાં જનસુવિધા કેન્દ્ર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ અને સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સામૂહિક તેમજ વ્યવસાયલક્ષી કામો થઇ રહ્યા છે. જેના અનુસંધાને આજે વ્યક્તિલક્ષી કામો માટે સેવાસેતુ કાર્યક્રમો થઇ રહ્યા છે. મોરબીમાં નગરપાલિકામાં વિકાસલક્ષી કામો માટે ૫૦ કરોડથી વધારેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. તેમજ સાંઇબાગમાં પણ ૬૦ લાખ રૂપિયાના ખર્ચે નમૂનાદાર સંકુલ બનશે. લોકોની સેવામાં કોઇ કચાસ રાખવામાં નહીં આવે. તેમજ ક્લીનીકનો સમય પણ સાંજના ૫.૩૦ વાગ્યાથી રાત્રીના ૯.૩૦ કલાક રાખવામાં આવશે જેથી લોકોને રોજગારીનો પ્રશ્ન ન રહે. પ્રાસંગિક પ્રવચનમાં નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકામાં ઘણા બધા કામો થઇ રહ્યા છે અને મચ્છુ રિવરફ્રન્ટ બનાવવાનું પણ આયોજન થઇ રહ્યું છે. જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ જણાવ્યું હતું કે, આઝાદી પછી મોરબી અને માળીયાને સરકારમાં પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે આ વિસ્તારના કામોમાં ખૂબ જ ગતિ મળી રહી છે. સ્વાગત પ્રવચન ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ રીબીન કાપીને જનસુવિધા કેન્દ્ર અને દીનદયાળ ક્લીનીકનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી બાબુભાઇ હુંબલ, પાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઇ દેસાઇ, અગ્રણી જિગ્નેશભાઇ કૈલા, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મામલતદાર જી.એચ. રૂપાપરા, નગરપાલિકાના કાઉન્સીલરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..