ટંકારા, વાંકાનેર અને માળિયામાં વાદળછાયું વાતાવરણ : હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી વહેતા થઈ ગયા તેવું માવઠું વરસ્યું મોરબી : મોરબીમાં આજે સાંજના અરસામાં કમોસમી છાંટા પડ્યા છે. જો કે આખા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું વરસ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર મોરબી જિલ્લામાં જાણે ચોમાસુ હોય તેવું વાતાવરણ સર્જાયું છે. મોરબી શહેરમાં આજે સાંજે કમોસમી છાંટા પડ્યા છે. જો કે આ માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ટંકારાના પત્રકાર જયેશ ભટાસણાએ જણાવ્યું કે ટંકારામાં હાલ વાદળછાયુ વાતવરણ છે. સાથે ઠંડો પવન પણ નીકળ્યો છે. વાંકાનેરની વિગતો આપતા ત્યાંના પત્રકાર હરદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે વાંકાનેરમાં પણ વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. વઘાસિયા ટોલનાકા પાસે માવઠુ પણ પડ્યું હતું. હળવદના પત્રકાર મેહુલ ભરવાડે જણાવ્યું કે હળવદના માથક, સુંદરીભવાની સાહિતના ગામોમાં પાણી વહેતા થઈ ગયા તેવું માવઠું પડ્યું હતું. વધુમાં માથક ગામે વીજ પોલ ઉપર વીજળી પણ પડી હતી. જ્યારે માળિયાના પત્રકાર કાસમ સુમરાએ જણાવ્યું કે માળિયામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ક્યાંય છાંટાના અહેવાલ નથી. (તસ્વીર- મેહુલ ભરવાડ)