હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી આગાહી મોરબી : માવઠું કાયમી મહેમાન બની ગયું હોય તેવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 12થી 19 એપ્રિલ વચ્ચે રાજ્યના હવામાનમાં પલટો આવશે. 23થી 28 એપ્રિલે પવન-આંધી સાથે રાજ્યના વિવિધ ભાગમાં વરસાદની શક્યતા છે.અંબાલાલ પટેલે વરસાદની સાથે ગરમીનું જોર વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં 12થી 19 એપ્રિલ વચ્ચે હવામાનમાં પલટો આવશે. આ દરમિાયન સૌરાષ્ટ્ર અને કચ્છના હવામાનમાં પલટો આવશે. 12થી 15 એપ્રિલ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે. ખાસ કરીને ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે. 23થી 28 એપ્રિલે પવન-આંધી સાથે રાજ્યના વિવિધ ભાગમાં વરસાદની શક્યતાઓ છે. એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. ઉપરાંત હવામાન વિભાગે કમોસમી વરસાદ અને આકરા તાપની આગાહી કરી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 09 અને 10 એપ્રિલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધશે. આ બે દિવસ દરમિયાન ગરમીનો પારો 39-40 ડિગ્રી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 09 અને 10 એપ્રિલ બાદ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં 11 અને 12 એપ્રિલે કમોસમી વરસાદ થઈ શકે તેમ હોવાની શક્યતા વ્યક્ત કરી છે.