મોરબી : નોવેલ કોરાના વાયરસ સંદર્ભે રાજ્ય સરકારની માર્ગદર્શિકા અન્વયે મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી. પટેલ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-(સીઆર.પી.સી.) ૧૯૭૩ ની કલમ-૧૪૪ અને ગુજરાત એપેડેમીક ડીસીઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ર૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ ની રૂએ મોરબી જિલ્લામાં ગુજરાત સરકારની માર્ગદર્શિકાના અમલ માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અન્વયે કૃષ્ણ જન્મોત્સવમાં મટકીફોડ કાર્યક્રમ નહીં યોજી શકાય. તા.૩૦/૦૮/૨૦૨૧ના રોજ જન્માષ્ટમીના રોજ રાત્રિના ૧૨:૦૦ કલાકે પરંપરાગત રીતે યોજાતાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકાશે. આ ઉજવણી દરમિયાન સોશીયલ ડીસ્ટન્સીંગ તથા માસ્ક ફરજિયાત રહેશે. મંદિર પરિસરમાં એક સમયે એક સાથે મહત્તમ ૨૦૦ વ્યક્તિઓ સોશીયલ ડીસ્ટન્સીંગ સાથે દર્શન કરી શકશે. મંદિર પરિસરમાં ફરજિયાત રીતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવાનું રહેશે તથા ગોળ કુંડાળા (સર્કલ) કરીને તેમાં ઉભા રહીને દર્શન કરવાના રહેશે. આ તહેવાર સંદર્ભે મહત્તમ ૨૦૦ વ્યક્તિઓ સાથે મર્યાદિત રૂટ પર પારંપારિક રીતે નિકળતી શોભાયાત્રાઓનું મર્યાદિત વાહનોમાં આયોજન કરી શકાશે. આ ઉપરાંત ગૃહ વિભાગના જાહેર કરવામાં આવેલ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે ધાર્મિક સ્થાનો માટેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ તહેવાર સંદર્ભે મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરી શકાશે નહી. ઉપરાંત આગામી તા.૦૯/૦૯/૨૦૨૧ થી તા.૧૯/૦૯/૨૦૨૧ દરમ્યાન ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફૂટની જ્યારે ઘરમાં મહત્તમ ૨ ફૂટની ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ/મંડપ શક્ય તેટલો નાનો રાખવાનો રહેશે. આયોજકો દ્વારા પંડાલ/મંડપમાં સોશીયલ ડીસ્ટન્સીંગ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરીને દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે. સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. અન્ય કોઇ ધાર્મિક/સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાના રહેશે નહી. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ ૧૫ વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે. ઘર પર સ્થાપન કરવામાં આવેલ ગણેશજીનું વિસર્જન ઘરે જ કરવામાં આવે તે વધારે હિતાવહ રહેશે. સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલ નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. સ્થાનિક સત્તામંડળે ગણેશ વિસર્જન માટે શક્ય તેટલા વધારે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવાના રહેશે. તેમ જાહેરનામા અંતર્ગત જાહેર કરાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..