આજે એફએસએલ ટીમ તપાસ કરશે: પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ મોરબી: માળિયાના વવાણીયા ગામે સીમ વિસ્તારમાં એક વાછરડા નું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે અને એક ગાય ને કોઈ ઘાતકી શખ્સે ગોળી મારી હોવાની ઘટના સામે આવી હતી. ઘટના મામલે અંતે ગ્રામજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. માળિયા તાલુકાના વવાણીયાં ગામના સિમ વિસ્તારમાં રહેતી રામધણ ગાયો પર હુમલાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા જેમાં એક વાછરડા ને મારી નાખવામાં આવ્યું હતું તેમજ એક ગાય ને ગોળી મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. બનાવને પગલે ગ્રામજનો ભેગા થયા હતા અને માળિયા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા સહિતનો કાફલો દોડી ગયો હતો સાથે સાથે ડોકટર ને બોલાવી તેની તપાસ કરાવામાં આવી હતી. ગ્રામજનોમાં આ ઘટનાને પગલે રોષની લાગણી જોવા મળ્યો છે. રવિવારે બનેલી ઘટના બાદ ગ્રામજનો પોલીસ મથકે દોડી ગયા હતા જેમાં ગામના સામજિક કાર્યકર અશ્વિનસિંહ પરમારએ ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ ૮ પહેલા કોઈ પણ વખતે અજાણ્યા માણસે જંગલમાં રહેતી અને રામધણની જંગલી ગાયો તરીકે ઓળખાતી ગાયને પગમાં બંદૂકની ગોળી મારી હતી.ખરેખર ગાયને ગોળી લાગી છે કે નહીં તે જાણવા માટે આજે એફ.એસ.એલ ટિમ તેમજ પશુ ડોકટર ની ટિમ તપાસ શરૂ કરશે આ ગુંનાની વધુ તપાસ પી.એસ.આઈ પી.જે.પનારા ચલાવી રહ્યા છે તો ગૌપ્રેમીઓમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે અને જવાબદાર ઈસમો સામે કડક પગલા ભરવાની માંગ કરી રહયા છે