ખેડૂતો દ્વારા ખાખરેચી કેનાલ ખાતે ઉપવાસ આંદોલનનો પ્રારંભ મોરબી : માળીયા બ્રાન્ચ કેનાલના ૩૦ થી ૩૫ કિલોમીટર વિસ્તારના ૧૨ થી ૧૩ ગામોના ખેડૂતો દ્વારા આજે ખાખરેચી ગામેથી કેનાલ સુધી વિશાળ રેલી યોજી ૨૫ ખેડૂત અગ્રણીઓ દ્વારા ઉપવાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો બીજી તરફ રેલીમાં જોડાયેલ હજારો મહિલાઓએ ખાલી કેનાલમાં ઉતરી સરકારના છાજીયા લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં અપૂરતા વરસાદને કારણે ખેડુતોનો ઉભો મોલ સુકાઈ રહ્યો છે ત્યારે નર્મદા બ્રાન્ચ કેનાલની સુવિધા આપવા છતાં સરકાર પાણી ન આપતી હોય ખેડૂતો પાયમાલ થવાને આરે ઉભા છે. બીજી તરફ સરકારની બેધારી નીતિના વિરોધમાં આજે ખેડૂતોએ કરેલી પૂર્વ જાહેરાત મુજબ સવારથી જ હજારોની સંખ્યામાં ખેડૂતો ખાખરેચી ગામે એકત્રિત થયા હતા અને એકથી દોઢ કિલોમીટર લાંબી રેલી કાઢી કેનાલ ખાતે પહોંચ્યા હતા. કેનાલ ખાતે પહોંચી ઉપસ્થિત હજારો ખેડૂત મહિલાઓ દ્વારા ખાલી કેનાલમાં ઉતરી સરકાર હાય...હાય... ના નારા લગાવી પાણી આપો...પાણી... આપોની માંગ કરી છાજીયા લીધા હતા તો ૨૫ ખેડૂતોએ ઉપવાસી છાવણીમાં બેસી ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='33549,33550,33551,33552']