બુધવારે બપોરે 4 વાગ્યે 2 દરવાજા બે ફૂટ ખોલી ડેમ ખાલી કરવાની શરૂઆત કરાશે મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના દરવાજા બદલવા માટે સરકારની મંજૂરી મળી જતા આવતીકાલે બુધવારે બપોરના 4 વાગ્યેથી મચ્છુ-2 ડેમને ખાલી કરવા માટે 2 દરવાજા બે ફૂટ ખોલવામાં આવશે. મચ્છુ-2 ડેમના દરવાજા ખોલવામાં આવતા ભર ઉનાળે મચ્છુ નદી બે કાંઠે વહેશે, નદીમાં પાણી છોડવાને કારણે હેઠવાસના 20 ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.મચ્છુ-2 સિંચાઈ પેટા વિબાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના રીપેરિંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે તા. ૦૨/૦૪/૨૦૨૫ના રોજ બપોરે૦૪:૦૦ વાગ્યે ૨ દરવાજા ૨ ફુટ ખોલી ૧૩૦૦ ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવશે. જે તબક્કાવાર વધારીને૩૫૦૦ક્યુસેક સુધી કરવામાં આવશે. વધુમાં મચ્છુ-2 ડેમ ખાલી કરવાની આ કાર્યવાહીને પગલે મોરબી તેમજ માળીયા મિયાણા તાલુકાના નદીના હેઠવાસના ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.વધુમાં મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવાને કારણે નદીના હેઠવાસમાં આવેલ (૧) જોધપર (૨) લીલાપર (૩) ભડીયાદ (૪) ટીંબડી (૫) ધરમપરુ (૬) રવાપર (૭) અમરેલી (૮) વનાળિયા (૯) ગોર ખીજડીયા (૧૦) માનસર (૧૧) નવા સાદુળકા (૧૨) જુના સાદુળકા (૧૩) રવાપર (૧૪) ગગુંણ (૧૫) નારણકા (૧૬) બહાદુરગઢ (૧૭) નવા નાગડાવાસ (૧૮) જુના નાગડાવાસ (૧૯) સોખડા અને (૨૦) અમરનગર ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભરઉનાળે મચ્છુ-2 ડેમ ખાલી કરવામાં આવતા મોરબીની પીવાના પાણીની સ્થિતિને અસર પડે તેમ હોવાનું પણ મનાઈ રહ્યું છે.