વાંકાનેર : આજે રામનવમીની સાથે ભગવાન સ્વામિનારાયણનો પણ પ્રાગટય દિવસ છે. આથી, આજના દિવસનું વિશેષ ધાર્મિક મહાત્મ્ય રહેલું છે. 240 વર્ષ પૂર્વે ઈ.સ.1871 સંવત 1837 ચૈત્ર સુદ નોમની રાત્રે ઉત્તરપ્રદેશનાં છપૈયા ખાતે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટય થયું હતું. BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિશ્વભરમાં અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તી રહી છે. 'સ્વામી નારાયણ'માં સ્વામી એટલે ગુણાતીત સ્વામી અને નારાયણ એટલે સહજાનંદ સ્વામી એમ ભક્ત સહિત ભાગવાનની ભક્તિ એટલે અક્ષર પુરુષોત્તમ ઉપાસના. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાનમાં મહંતસ્વામી મહારાજ આ ગુરુ પરંપરા થકી વિશ્વભરમાં લાખો અનુયાયીઓ ભગવાન સ્વામીનારાયણે આપેલ સિદ્ધાંતો મુજબ સાત્વિક જીવન શૈલી સાથે ઉપાસના કરી રહ્યા છે. અને મનુષ્ય જીવન માટે સૌથી અગત્યનું સુખ 'મનની શાંતિ'વાળું પૂર્ણ જીવન વ્યતીત કરી રહ્યા છે. આજના પવિત્ર દિવસે વાંકાનેરનાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને મનોરમ્ય વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતાં. કોરોના અન્વયે મંદિરમાં દર્શન બંધ હોય, હરિભકતોએ ઘર મંદિરમાં જ પૂજન-દર્શન કરી વિશ્વભરમાંથી કોરોના મહામારી નાબૂદ થાય તેવી ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામચંદ્રને પ્રાર્થના કરી હતી.