ગઈકાલે એક દીપડો પાંજરે પુરાયા બાદ મોડી રાત્રે બીજો દીપડો અકાળે મોતને ભેટ્યો વાંકાનેર : વાંકાનેર પંથકમાં દીપડાના આટાફેરા વચ્ચે ગઈકાલે સવારે એક દીપડો પાંજરે પુરાયા બાદ ગતરાત્રીના વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગારીડા ગામ નજીક અજાણ્યા વાહન હડફેટે આવી જતા દીપડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમયથી બે દીપડા હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી હતી એવા સમયે જ વનવિભાગ દ્વારા બે દિવસ પૂર્વે દિગ્વિજય નગર ખાતે પાંજરું મુકવામાં આવતા ગઈકાલે વહેલી સવારે એક દીપડો પાંજરે પુરાયો હતો. બાદમાં મોડી રાત્રે વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગારીડા ગામ નજીક અજાણ્યા વાહનની હડફેટે આવી જતા એક દીપડાનું મોત નીપજ્યું હતું. દરમિયાન ઘટના અંગે વાંકાનેર ફોરેસ્ટ વિભાગના અધિકારી નરોડીયાનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, ગત મોડીરાત્રે આ બનાવ બન્યો હતો અને મૃતક દીપડો અંદાજે બેથી ત્રણ વર્ષનો હોવાનું જણાવી હવે દીપડાના પીએમ રિપોર્ટ બાદ અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.