ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સાથે રાખીને ધારાસભ્ય મેરજાએ રજુઆત કરતા મુખ્યમંત્રીએ ઘટતું કરવાની હૈયાધારણા આપી મોરબી : મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન લખધીરજી એન્જિનિયરિંગ કોલેજનું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું છે અને જોખમી બની જવાથી આ ઐતિહાસિક બિલ્ડીંગને યોગ્ય રીતે રીનોવેશન કરવાની તાતી જરૂરિયાત છે. જેથી એલ.ઈ. કોલેજના ઐતિહાસિક મકાનની જાળવણી બાબતે ધારાસભ્યએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સાથે રાખીને રજુઆત કરતા મુખ્યમંત્રીએ ઘટતું કરવાની હૈયાધારણા આપી હતી. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન લખધીરજી એન્જિનિયરિંગ કોલેજનું બિલ્ડીંગ તત્કાલીન રાજવીએ પોતાનો પેલેસ આપીને તેમાં વર્ષ 1951 દરમિયાન ઈજનેર કોલેજ ચાલુ કરાવી હતી. આ એલ.ઇ. કોલેજ જે તે વખતે દેશની 10 ઈજનેરી કોલેજો પૈકીની એક ગણાતી હતી. પરંતુ આ એલ.ઇ. કોલેજનું બિલ્ડીંગ કાળક્રમે જર્જરિત થઈ ગયું છે. જેથી એલ ઇ. કોલેજનું રીનોવેશન કરવું ખૂબ જરૂરી છે. આથી આ કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના લેન્કો ગ્રુપને સાથે રાખીને ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઈને એલ.ઈ. કોલેજના ઐતિહાસિક મકાનની જાળવણી બાબતે રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ આ બાબતે ઘટતું કરવાની હૈયાધારણા આપી હતી.