મોરબી : સમગ્ર રાજ્યમાં બીમાર, વૃદ્ધ, દિવ્યાંગ, અબોલ જીવોની સારવાર માટે 1962 કરુણા હેલ્પલાઈન કાર્યરત છે. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના માર્ગદર્શન હેઠળ 1962 કરુણા હેલ્પલાઈન તેમની ફરજ સુપેરે બજાવી રહી છે. તાજેતરમાં શોભેશ્વર રોડ ખાતે સ્થિત જિલ્લા સેવા સદનના પરિસરમાં એક શ્વાનને વાયરલ ઈન્ફેકશન (કેનાઈન પાર્વો વાયરસ) થયું હતું. જેથી તેણે અન્ન-જળનો ત્યાગ કરી દીધો હતો અને આ અબોલ જીવનું આખું શરીર કાંપતું હતું. આ અંગે 1962 ટીમને જાણ કરવામાં આવી હતી. આ કોલ મળતા જ તેઓએ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને આ બીમાર શ્વાનની સારવાર કરી હતી અને તેનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન જિલ્લા માહિતી કચેરી, જિલ્લા તિજોરી કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સિક્યોરીટી સ્ટાફનો સહયોગ મળ્યો હતો.