જમીનમાંથી માટી અને રેતી ચોરી કરાતી હોવાની ટીડીઓને રજૂઆત કરાઈમોરબી : મોરબી તાલુકાના કાંતિપુર ગામે ગૌચરની જમીનમાંથી માટી તથા રેતી ચોરી કરી જમીનને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની ફરિયાદ ગામના અરજદાર વલ્લભભાઈ નરભેરામભાઈ ઠોરીયાએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરી છે.અરજદારના જણાવ્યા પ્રમાણે કાંતિપુર ગામે તેમની ખાનગી માલિકીની જમીન આવેલી છે અને આ તેમની જમીન પાસે જ ગૌચર ખાતાની પણ જમીન આવેલી છે. ત્યારે ગૌચરની જમીનમાંથી માટી તથા રેતીની ચોરી કરી ગૌચરની જમીન અને તેમની જમીનનું ધોવાણ થાય તે રીતે જમીનને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. અરજદારની માલિકીની જમીનના શેઢા સુધી જમીનમાં આશરે 10 ફૂટ ઉંડા ખાડા કરી ગૌચ ખાતાની પૂરેપૂરી જમીનમાંથી માટી કાઢી લેવામાં આવી છે. જેનાથી તેમની જમીનમાં મોટાપાયે ધોવાણ થઈ જાય તેમ છે અને ઘણું નુકસાન થાય તેમ છે. આ બાબતે ગ્રામ પંચાયતમાં વારંવાર ફરિયાદ કરી છે પરંતુ સરપંચ તથા ગ્રામ પંચાયત કચેરી દ્વારા આંખ આડા ગાન કરવામાં આવી રહ્યા છે. આ અંગે સરપંચ દ્વારા કોઈ ફરિયાદ કે અરજી પણ કરવામાં આવી નથી. જેથી અરજદારે મામલતદાર તથા ખાણ ખનીજ વિભાગને અગાઉ અરજી કરી છે. માટી ચોરી અંગે અરજી કરતાં અરજદારને ગામના સરપંચના કાર્યકર્તા તેમના પતિ રમેશભાઈ બાલુભાઈ કલોલાએ તમારાથી થાય તે કરી લ્યો અને અરજી પાછી ખેંચી લ્યોની ધમકી આપી છે. આમ અરજદારે સરપંચના પતિ પણ ભૂમાફિયા સાથે સંકળાયેલા હોવાની આશંકા વ્યક્ત કરી છે. અને આ અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.