વિધાનસભા પાસે 30 મિનિટ રાહ જોશે, જો ગોપાલ ઇટાલિયા આવશે તો તેની સાથે રાજીનામુ આપી દેશે, નહીંતર નહીં આપેમોરબી : મોરબીમાં કાંતિલાલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચેની રાજીનામાની ચેલેન્જ ભારે ચર્ચામાં છે. ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ અગાઉ કરેલી જાહેરાત મુજબ સોમવારે મોરબીથી સેંકડો સમર્થકોના કાફલા સાથે રાજીનામુ આપવા જવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. અને આ માટે કાંતિલાલના સમર્થકો દ્વારા તૈયારી પણ કરી લેવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં શરૂ થયેલા જનઆંદોલન દરમિયાન અમુક જગ્યાએ વિસાવદરવાળી કરવાની વાત આવી હતી. આ બાબતે ધારાસભ્ય કાંતિલાલે મોરબીના લોકોને આપના લોકો ઉશ્કેરી રહ્યાના આક્ષેપો કરી એવી ચેલેન્જ જાહેર કરી હતી કે જો ગોપાલ ઇટાલિયા મોરબી ચૂંટણી લડવા આવે તો તેઓ રાજીનામુ આપી દેશે અને રૂ.2 કરોડનું ઇનામ પણ આપશે.ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ આ ચેલેન્જ સ્વીકારીને કાંતિલાલને રાજીનામુ આપવા કહ્યું હતું. જેના પ્રત્યુત્તરમાં કાંતિલાલે ઇટાલિયાને જવાબ આપતા જણાવ્યું હતું કે બન્ને સોમવારે વિધાનસભા અધ્યક્ષ પાસે જઈને રાજીનામુ આપી દેવાની તૈયારી જાહેર કરી હતી. જો કે કાંતિલાલના આ નિવેદન બાદ આપના જિલ્લા પ્રભારીએ એવું નિવેદન આપ્યું હતું કે હજુ ગોપાલ ઇટાલિયાએ શપથ પણ ગ્રહણ કર્યા નથી એટલે એમના રાજીનામાની વાત જ ન આવે. પહેલા કાંતિલાલ રાજીનામુ આપે. હાલ આ મુદ્દો ભારે ચર્ચામાં છે. ત્યારે આજે જાણવા મળતી વિગત અનુસાર ધારાસભ્ય કાંતિલાલ સોમવારે રાજીનામુ આપવા જવાના છે. મોરબીથી સોમવારે સવારે 7 વાગ્યે અંદાજે 100થી વધુ કાર સાથે સમર્થકો સાથે તેઓ ગાંધીનગર જવા નીકળશે. ગાંધીનગરમાં તેઓ વિધાનસભા પાસે 30 મિનિટ ગોપાલ ઇટાલીયાની રાહ જોશે. હો ગોપાલ ઇટાલિયા આવશે તો તેઓ તેની સાથે રાજીનામું આપી દેશે. જો ગોપાલ ઇટાલિયા નહિ આવે તો તેઓ રાજીનામું નહિ આપે. અને ત્યાં મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપશે.