આજે રાજ્યવ્યાપી શોક : અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતનાઓએ ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી મોરબીઃ મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ટાઉનહોલ ખાતે મહાનગરપાલિકા દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. AMC દ્વારા આયોજિત આ પ્રાર્થનાસભામાં રામધૂન અને ભજનોની પ્રસ્તુતિ સાથે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ટાગોર હૉલમાં ભાવભીનો માહોલ છવાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટનાના દિવંગતોના શોકમાં આજરોજ ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો છે. અમદાવાદના ટાઉન હૉલ ખાતેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પ્રદીપભાઇ પરમાર, અમદાવાદ શહેરના મેયર કિરીટભાઇ પરમાર, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ સભાના અંતે બે મિનિટ મૌન પાળી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.