આજે લખધીરવાસ ચોકમાં કાર્યવાહી : આવા 63 બાંધકામોને નોટિસ અપાઈ છે, ક્રમશઃ કાર્યવાહી કરાશેમોરબી : મોરબીમાં હવે દર બુધવારે ગેરકાયદે ખડકાયેલા દબાણો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. તેવામાં આજથી હવે દર શુક્રવારે નિયમ વિરૂદ્ધ થઈ રહેલા નવા બાંધકામો વિરૂદ્ધ પણ ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેનો આજે લખધીરવાસ ચોકથી પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબીમાં નિયમો વિરૂદ્ધ ગેરકાયદે બાંધકામો પુરજોશમાં થઈ રહ્યા છે. ત્યારે આવા બાંધકામો વિરૂદ્ધ મળેલી અરજીઓને ધ્યાને રાખી મહાનગરપાલિકા દ્વારા 63 જેટલા બાંધકામોને નોટિસો ફટકારવામાં આવી છે. આવા બાંધકામોને તોડી પાડવા આજથી ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. હવેથી દર શુક્રવારે આવા બાંધકામો તોડી પાડવામાં આવશે. આ મામલે મહાપાલિકાના ટીપી શાખાના અધિકારીએ જણાવ્યુ કે લખધીરવાસ ચોકમાં માર્જિન છોડવામાં આવ્યું નહોતું. એટલે જે માર્જિનની જગ્યા છે એટલી બિલ્ડીંગ તોડવામાં આવી રહી છે. નિયમ વિરુદ્ધ થયેલા આવા પાંચ બાંધકામો સામે આજે કાર્યવાહી કરવામાં આવનાર છે. દર શુક્રવારે આના માટે ખાસ ડ્રાઇવ યોજવામાં આવશે.