મિનિમમ રૂ. 20 હજારનું કમિશન આપવાની માંગને સૈદ્ધાંતિક મંજૂરી, સરકારને વધારાનો 35 કરોડનો ખર્ચ થશે : મંત્રી કુંવરજીભાઇ બાવળિયા મોરબી : સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ આજે સમેટાઈ ગઈ છે. સરકારે મિનિમમ રૂ.20,000નું માસિક કમિશન આપવાની જાહેરાત કરતા દુકાનદારોએ દુકાનો ખોલવાનો નિર્ણય લીધો છે. સસ્તા અનાજના દુકાનદારોના રાજ્ય કક્ષાના બે એસોસિએશનને માસિક રૂ. 20,000 નું કમિશન તેમજ માલમાં આવતી ઘટ સહિતના અનેક મુદ્દે સરકારને રજૂઆતો કરી હતી. સરકારે બાંહેધરી આપેલી હોવા છતાં પણ તેની અમલવારી ન થતા આ બંને એસોસિયેશનનો દ્વારા જન્માષ્ટમીના તહેવાર ટાણે જ હડતાલ શરૂ કરી હોય ગરીબોની જન્માષ્ટમી બગડે તેવા એંધાણ સર્જાયા હતા. પરંતુ આજ રોજ સરકારે વેપારી એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી તેઓને મહિને રૂ. 20,000નું કમિશન મળે તેને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેવી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સત્તાવાર જાહેરાત કરી છે. ઉપરાંત તેઓ જણાવ્યું છે કે સરકારને આ નિર્ણયથી રૂ. 35 કરોડનો વધારાનો વાર્ષિક ખર્ચ થશે. બીજી તરફ સસ્તા અનાજના દુકાનદારોએ પણ તહેવાર માથે હોય આજથી જ દુકાનો ખોલી વિતરણ કાર્ય શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.