પીએસઆઇ વિરુદ્ધ પુરાવા ન મળતા ગુન્હો ન નોંધાયો, ફોન એફએસએલમાં મોકલ્યાની ચર્ચામોરબી : ગઈકાલે સાંજે અમદાવાદ એસીબીએ લાંચનું સફળ છટકું ગોઠવી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતી નગર દરવાજા પોલીસ ચોકીના જમાદાર અને ફોજદારને ઝડપી લેવા પ્રકરણમાં પીએસઆઇ વિરુદ્ધ પુરાવા ન મળતા માત્ર રાઇટર એવા જમાદાર વિરુદ્ધ જ ગુન્હો નોંધ્યો છે, એસીબીના હાથે ઝડપાયેલા રાઇટરના એક દિવસના રિમાન્ડ મંજુર થયા છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વાવડી વિસ્તારમાં એક પ્લોટનો વેચાણ દસ્તાવેજ ખોટી રીતે કરાવ્યો હોવાની અરજીની તપાસના નામે નગર દરવાજા ચોકીના પીએસઆઇના રાઇટર હિતેશ મકવાણાએ અરજીની પતાવટ માટે 3 લાખની માંગણી કરી બાદમાં રૂપિયા 2.35 લાખના પતાવટ કરવા કહેતા જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી સમગ્ર મામલે વાકેફ કરતા એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યુ હતું જેમાં પીએસઆઇના રાઇટર હિતેશ મકવાણા રૂ.1.30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ જતા એસીબી પોલીસ ટીમે પીએસઆઇ શુકલા અને રાઇટર હિતેશ મકવાણાને મોરબી એસીબી પોલીસ મથકે લઈ ગયા હતા. જો કે, આ કેસમાં પીએસઆઇ વિરુદ્ધ પુરાવા ન મળતા એસીબીએ માત્ર રાઇટર હિતેશ મકવાણા વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. લાંચ કેસમાં ઝડપાયેલા રાઇટર હિતેશ મકવાણાને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સુમાહિતગાર વર્તુળો એવું પણ જણાવી રહ્યા છે કે પીએસાઈનો મોબાઈલ ફોન એફએસએલમાં મોકલી દેવાયો છે.