Dhrangdhra: આજે જળ જૌહર દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ખાતે આવેલા જળ જૌહર કુવા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા કુવામાં જળાભિષેક કરવામાં આવ્યો હતો અને પાળીયાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.ચૈત્ર વદ અગિયારસને ઝાલાવાડનો જળ જૌહર દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે ઝાલાવાડના 23 ઝાલેશ્વર વાઘોજીના શાસનકાળ દરમિયાન સુલતાન મહંમદ બેગડાએ આક્રમણ કરતાં 8 ઝાલારાણી સહિત અનેક સ્ત્રીઓએ કંકાવટી ખાતે આવેલા કુવામાં જળ જૌહર કર્યું હતું. તેથી આજના દિવસે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા આજના દિવસને કીર્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ પ્રસંગે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના લોકોએ શક્તિ માતાજી તથા મહાસતિજીના પાળીયાની પૂજા અર્ચના કરી હતી અને જળ જૌહર કુવામાં જળાભિષેક કર્યો હતો. આ પ્રસંગે ધ્રાંગધ્રાનો રાજપરિવાર પણ ઉપસ્થિત રહેતો હોય છે. આજના આ પ્રસંગે સોખડા કાકાસાહેબ પ્રહલાદસિંહ તથા ક્ષત્રિય સમાજના આગેવાન ઈતિહાસકાર રાજુભા ઘણાદ, ઝાલાવાડ સંશોધક મંડળના સદસ્ય મયુરધ્વજસિંહ કોંઢ, કરણીસેનાના મીડિયા ઇન્ચાર્જ લક્ષ્મણસિંહ માલણીયાદ, રણુભા દિઘડીયા, હળવદ રાજપુત યુવાસંઘના પ્રમુખ યશરાજસિહ વણા અને ક્ષત્રિયસમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને જૌહર કુવામા જળાભિષેક તથા સતી માતાજીના પાળીયાની પુજાઅર્ચના કરી હતી. આ દિવસે વિરાંગના અને વાધાજીની શૌર્યકથાને યાદ કરવામાં આવી હતી.