કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સના નિયમોમાં મુખ્યમંત્રીએ છૂટછાટ જાહેર કરી મોરબી : કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સના નિયમોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે છૂટછાટ જાહેર કરી છે. જેમાં હવે સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે મુલાકાતીઓએ વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહીં. કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. ર માર્ચ-ર૦ર૨ થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા. ૩૧ માર્ચ ર૦રર સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય રાજ્ય મંત્રી નિમીષાબહેન સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.