હળવદ : હાલની વિકટ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદો સુધી બરાબર રીતે સેવા પહોંચે અને કોઈ વ્યક્તિનું આરોગ્ય પણ ન જોખમાય તેવા હેતુથી હળવદમાં આસીસ્ટન્ટ કલેકટર દ્વારા સામાજિક સંસ્થાઓ માટે સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. હળવદ તાલુકાની સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો જોગ આસીસ્ટન્ટ કલેકટર ગંગા સિંહએ જે સૂચનો જાહેર કર્યા છે, તેમાં જણાવાયું છે કે મેડિકલ અથવા અન્નને લગતી વસ્તુના વિતરણ માટે વહીવટી મંજૂરી લેવી પડશે. અને મહેસુલી તેમજ પોલીસ કર્મચારીને સાથે રાખીને જ વિતરણની કામગીરી કરવી પડશે. જરૂરિયાતમંદ લાભાર્થીઓ વંચિત રહી ન જાય અને અન્ય લાભાર્થીઓને વધુ વખત વિતરણનો લાભ મળે તેવું ન થાય માટે તકેદારી રાખવી અને અત્યાર સુધીમાં કરેલ વિતરણની માહિતી આપવી. વિતરણ વેળાએ સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને આ સમયે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી ન કરવી. આ તમામ સૂચનાઓનુ ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.