ખેડૂતોને નુકશાન અંગે ત્વરિત સર્વે કરવા ખેતીવાડી વિભાગને આદેશ મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કહેર રૂપે વરસી રહેલા માવઠાનો કારણે ખેડૂતોની તૈયાર જણસ અને શિયાળુ પાકને નુકશાન પહોંચ્યું છે ત્યારે આજે રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ ખેતીવાડી અધિકારીને કમોસમી વરસાદથી થયેલ નુકશાની અંગે ત્વરિત સર્વે કરવા સૂચના આપી છે. મોરબી જિલ્લામાં આત્મનિર્ભર યાત્રા અંતર્ગત પ્રવાસમાં રહેલ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ છેલ્લા બે દિવસથી ખાસ કરીને મોરબી જિલ્લામાં માવઠું વરસતા ખેડૂતોને નુકશાની અંગેનો સર્વે હાથ ધરવામાં ખેતીવાડી અધિકારીને આદેશ આપ્યો હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે માવઠાને કારણે ખેડૂતોની મગફળી અને કપાસને નુકશાન પહોંચવાની સાથે સાથે શિયાળુ પાકો ઉપર પણ માઠી અસર પહોંચી છે ત્યારે રાજયમંત્રી દ્વારા સર્વે હાથ ધરી ધોરણસરની કાર્યવાહી કરવા સૂચના અપાતા ખેડૂતોને રાહત મળી છે.